GANDHINAGAR ગાંઘીનગર સ્પીપા તાલીમાર્થી અધિકારીઓની ગુજરાત વિધાનસભા ખાતે અભ્યાસ મુલાકાત

GANDHINAGAR ગાંઘીનગર સ્પીપા તાલીમાર્થી અધિકારીઓની ગુજરાત વિધાનસભા ખાતે અભ્યાસ મુલાકાત
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદદ્વારા ગાંધીનગર પરિસર ખાતે ચાલી રહેલા પ્રથમ કોમન ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત તાલીમાર્થી અધિકારીઓ માટે અભ્યાસના ભાગરૂપે સ્પીપાના મહાનિદેશકશ્રી હારીત શુક્લાના પ્રેરક માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓ ગુજરાત વિધાનસભા ખાતે અભ્યાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અંદાજે ૫૦ જેટલા મહિલા તાલીમાર્થી અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ મુલાકાત દરમિયાન તાલીમાર્થી અધિકારીઓએ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળનું અવલોકન કરીને રાજ્યના વિધાન પ્રક્રિયાના વ્યવહારિક પાસાઓની પ્રત્યક્ષ સમજ મેળવી હતી. ઉપરાંત, વિધાનસભાના દૈનિક કામકાજ, ચર્ચા અને નિર્ણય પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. તે તેમના પ્રશાસનિક જીવનમાં ઉપયોગી સાબિત થશે.
તાલીમાર્થી અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાથે સમૂહ તસ્વીરનો અવસર મળ્યો હતો.
આ અભ્યાસ મુલાકાત દરમિયાન તાલીમાર્થી અધિકારીઓએ મંત્રીશ્રી શ્રીમતી મનીષા વકીલ, શ્રી અર્જુન મોઢવાડીયા તથા શ્રીમતી દર્શના વાઘેલા સાથે મુલાકાત કરી અને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. મંત્રીશ્રીઓએ જાહેર સેવા ક્ષેત્રમાં જવાબદારી, પારદર્શિતા અને લોકહિતને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
આ અભ્યાસ મુલાકાત દ્વારા તાલીમાર્થી અધિકારીઓને રાજ્યના વિધાનતંત્રની કાર્યપદ્ધતિ અંગે જે વ્યાપક અને પ્રત્યક્ષ સમજ પ્રાપ્ત થઈ છે, તે ભવિષ્યમાં તેમની પ્રશાસનિક ફરજોના નિર્વાહમાં મદદરૂપ થશે.











