
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના ‘રતાડીયા ગણેશવાલા’ ગામે ચૈત્ર સુદ ચોથ નિમિત્તે હવન અને ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી
રતાડીયા, તા. 22:
કચ્છના મુંદરા તાલુકામાં આસ્થાના કેન્દ્ર સમાન અને ‘રતાડીયા ગણેશવાલા’ તરીકે પ્રખ્યાત એવા રતાડીયા ગામે ચૈત્ર સુદ ચોથ, રવિવારના (ગણેશ ચતુર્થી)ના રોજ પવિત્ર અવસરે ગણેશ મંદિરે ભવ્ય હવન અને પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યોજાયેલા આ હવનમાં મોટી સંખ્યામાં ભક્તોએ આહુતિ આપી ગણેશ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.
નોંધનીય છે કે લુણી ગામના મેળાના બીજા દિવસે યોજાતા આ ઉત્સવમાં આસપાસના 10 થી 15 ગામોના શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. પરંપરા મુજબ ભક્તોએ ગણેશ દાદાને લાડુનો પ્રસાદ ધરાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી. કચ્છમાં રતાડીયા નામના આઠેક ગામો હોવા છતાં આ ગામ પોતાની વિશેષ ધાર્મિક ઓળખ અને ગણેશજીના મહિમાને કારણે સમગ્ર પંથકમાં ‘રતાડીયા ગણેશવાલા’ તરીકે ઓળખાય છે.
હાલે મંદિરના પૂજારી તરીકે પ્રકાશગીરી ગોસ્વામી સેવા આપી રહ્યા છે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ગ્રામજનો અને ગણેશ ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી. દિવસભર મંદિરે દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com





