
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો : પંચાલ ગામે કોંગ્રેસ અને AAPના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
અરવલ્લી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને મેઘરજ તાલુકાની પંચાલ જિલ્લા પંચાયત સીટ પર રાજકીય હલચલ તેજ બની છે અને પક્ષ પરિવર્તનના બનાવો સામે આવી રહ્યા છે.મેઘરજ તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં આંતરિક અસંતોષને કારણે કેટલાક કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી હતી.આ પરિસ્થિતિ વચ્ચે પંચાલ વિસ્તારના પૂર્વ કોંગ્રેસ જિલ્લા સભ્ય કાનજીભાઈના પુત્ર નારણભાઈ સહિત અનેક કાર્યકરોએ ભાજપમાં જોડાઈ રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને AAPમાંથી મળીને 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યના મંત્રી પી.સી. બરંડા દ્વારા નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ ભિખાજી ઠાકોર સહિત ભાજપના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ભાજપના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આવનારી ચૂંટણીમાં આ જોડાણથી પક્ષ વધુ મજબૂત બનશે.આ રાજકીય ફેરફારોને કારણે મેઘરજ તાલુકા સહિત અરવલ્લી જિલ્લાના રાજકારણમાં નવી સમીકરણો સર્જાઈ રહી છે અને આવનારી ચૂંટણીને લઈ રાજકીય તાપમાન વધી રહ્યું છે.





