હાલોલ:પૂજ્ય યોગગુરુ ડૉ. સ્વામી પરમાર્થદેવજી મહારાજે ઉપવાસ અને ઉપાસનાની સાધના સમજાવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૩.૨૦૨૬
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આયોજિત “સપ્ત દિવસીય નિઃશુલ્ક યોગ શિબિર” આજે એક ભવ્ય આરોગ્ય યજ્ઞનું રૂપ ધારણ કરી રહી છે. આજના અર્વાચીન યુગમાં સ્વસ્થ, સંતુલિત અને આનંદમય જીવન માટે યોગ એક અનિવાર્ય જીવનપદ્ધતિ બની ગયો છે, અને આ જ પવિત્ર ભાવનાથી આ યોગ અભિયાન પ્રેરિત છે.તા.29 માર્ચ થી 31 માર્ચ દરમિયાન યોજાયેલા યોગ સત્રોમાં હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠના રાષ્ટ્રીય સચિવ અને પ્રખર યોગાચાર્ય પૂજ્ય ડૉ. સ્વામી પરમાર્થદેવજી મહારાજે યોગ સાધકોને “ઉપવાસ અને ઉપાસના”ની મહત્તા અને તેની આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક સમજ આપી. તેમણે જણાવ્યું કે ઉપવાસ માત્ર શરીરશુદ્ધિ માટે નહીં પરંતુ મન અને આત્માની પવિત્રતા માટે પણ અત્યંત જરૂરી સાધના છે, જ્યારે ઉપાસના જીવનમાં શાંતિ, એકાગ્રતા અને આંતરિક શક્તિનો વિકાસ કરે છે.ગુજરાત રાજ્યના પ્રભારી અને કાર્યકર્તા બેઠકમાં સ્વામીજીએ સંદેશ આપ્યો કે દરેક વ્યક્તિ રોજ યોગ કરે અને પોતાના પરિવાર તથા ગામમાં પણ યોગનો પ્રચાર કરે. તેમણે સનાતન સંસ્કૃતિના સંવર્ધન અને રાષ્ટ્ર સેવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો પણ મક્કમ સંકલ્પ કરાવ્યો.આ યોગ શિબિર હાલોલ કે પંચમહાલ પૂરતી મર્યાદિત ન રહી સમગ્ર ગુજરાત માટે આરોગ્ય, સકારાત્મકતા અને જાગૃતિનો અનોખો અવસર બની રહી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્માનો સુમેળ સ્થાપિત થાય છે, જે સ્વસ્થતા, એકાગ્રતા અને આંતરિક આનંદ તરફ દોરી જાય છે.આ સમગ્ર યોગ યજ્ઞને સાકાર બનાવવા માટે લક્ષ્મણ ગુરુવાનીજીની પ્રેરણાદાયી ભૂમિકા નોંધપાત્ર રહી છે.શિબિરમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે,જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તણાવ, મોટાપો જેવી અનેક શારીરિક અને માનસિક તકલીફોમાં રાહત માટે અસરકારક સાબિત થઈ રહ્યું છે.હાલોલથી ઉદ્ભવેલો આ યોગ સંદેશ સમગ્ર ગુજરાતને યોગમય બનાવે અને દરેકનું જીવન દિવ્ય બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે.








