
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્રિપાખીયા મુકાબલાની વચ્ચે તમામ પક્ષો પોતાના વિજયના દાવા કરી રહ્યા છે. આ વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે ઉમેદવારીના ફોર્મની દાવેદારી નોંધાવવામાં આવી હતી.આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ દાવેદારોને શુભેચ્છાઓ પાઠવી અને તાલુકા પંચાયતની 16 તેમજ જિલ્લા પંચાયતની 2 બેઠકો પર જીત માટે આશીર્વાદ આપ્યા હતા. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, “વિકાસના કામો પર જ જનતાનો વિશ્વાસ જીતશું અને ભાજપ ફરી એકવાર બહુમતી સાથે જીતશે.”તેમણે વિરોધીઓને નિશાન બનાવતા ઉમેર્યું હતું કે, “કેટલાક લોકો માત્ર વચનો અને વાતોમાં જ વ્યસ્ત છે, જ્યારે ભાજપ જમીન પર ઉતરીને કામ કરીને બતાવે છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સોળે સોળ તાલુકા પંચાયત બેઠકો સાથે જિલ્લા પંચાયતની બંને બેઠકો પર પણ ભાજપ વિજય મેળવશે.હવે જોવાનું રહ્યું કે આ રાજકીય દાવાઓ વચ્ચે ખેરગામના મતદાતાઓ કઈ દિશામાં પોતાનો નિર્ણય આપે છે અને ત્રિપાખીયા જંગમાં અંતિમ વિજય કોના ભાગે જાય છે.




