કાલોલ નગરપાલિકામાં રોષનો વિસ્ફોટ: પ્રમુખ-સીઓ હાજર ન રહેતા કાઉન્સિલરો-રહીશોએ ચેમ્બરમાં મચાવી તોડફોડ.

તારીખ ૦૮/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
છેલ્લા એક વર્ષથી પડતર પ્રશ્નો ના કોઈ નિરાકરણ ન લાવતા આવેદન પત્ર આપવા આવેલ રહીશો બન્યા ઉગ્ર
કાલોલ નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર ચાર જેમાં ભાગ્યોદય સોસાયટી, જલારામ નગર સોસાયટી, મઠ ફળિયું,વૃંદાવન નગર સોસાયટી જેવા વિસ્તારમાં નિયમિત રીતે સાફ-સફાઈ કરવામાં આવતી નથી જેના પરિણામે ભયંકર ગંદકી ઉદભવે છે તેમજ પીવાના પાણીનો કોઈ ચોક્કસ સમય નિર્ધારિત કરવામાં આવ્યો નથી જેને કારણે નોકરી કરતા લોકોને પાણી ભરવામાં ભારે તકલીફ પડી રહી છે તેમ જ હાલમાં ચોમાસાની સિઝન આવી રહી છે ત્યારે વરસાદી પાણીના પણ નિકાલનુ કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી છેલ્લા એક વર્ષથી સ્થાનિક કોર્પોરેટરો અને રહીશો દ્વારા નગરપાલિકાને આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં પણ પાલિકા દ્વારા આ વિસ્તારના કોર્પોરેટરો અપક્ષ ઉમેદવારો હોવાથી તેમની સાથે ઓરમાયુ વર્તન રાખવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ગત વર્ષે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા આ વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અને કેટલાક ઘરોમાં અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. બે દિવસ પહેલા સામાન્ય માવઠૂ થયા બાદ પણ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ફાયર ફાઇટર કે એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં આવી શકે તેમ નથી. વધુમાં આ વિસ્તારમાં રોડ બનાવવાનુ પણ કામ બાકી રહ્યું છે જે ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે આ વિસ્તારના રહીશો રજૂઆત કરવા માટે આવ્યા હતા જ્યાં નગરપાલિકામાં પાલિકા પ્રમુખ હાજર જોવા મળ્યા ન હતા અને ચીફ ઓફિસર ત્રણ દિવસથી રજા પર હોવાનું જાણવા મળેલ જેથી આવેદનપત્ર કોને આપવુ? ચીફ ઓફિસરની ગેરહાજરીમાં જવાબદાર અધિકારી કોણ? જેવા પ્રશ્નોનો મારો ચલાવી અમે જ્યારે પણ રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે કોઈ જવાબદાર અધિકારી હાજર હોતા નથી તો પછી આ બધી ચેમ્બરો શું કામની? તેમ કહીને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિકોએ જણાવેલ કે અહીંયા આવેદનપત્ર આપીને જિલ્લા કલેકટર પાસે રજૂઆત કરવા માટે પણ અમુક જવાના છીએ. અને અમારા વિસ્તારના પ્રશ્નોનો હલ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન અને પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો પણ આગામી સમયમાં કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.









