
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ચીંચલી-માદલબારી વિસ્તારના સરકારી જંગલમાં અચાનક ભભૂકેલી આગ પર કાબૂ મેળવવા પૂર્વ આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ અનોખી પ્રકૃતિપ્રેમની મિસાલ પૂરી પાડી હતી.
લગ્નપ્રસંગમાં હાજરી આપવા જતા સમયે જંગલમાં આગ લાગેલી જોતા તેમણે તરત જ વાહન રોકી પત્ની સાથે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સાથે જ વન વિભાગને જાણ કરી સ્થાનિક સાધનો અને ડાળીઓની મદદથી જીવના જોખમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વન વિભાગની ટીમ પહોંચ્યા બાદ સતત દોઢ કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે જંગલની વનસ્પતિ અને વન્યજીવોને મોટા નુકસાનથી બચાવી શકાયા હતા. સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “જંગલ અને વન્યજીવનનું રક્ષણ કરવું આપણી સૌની નૈતિક જવાબદારી છે.” તેમની આ કામગીરીની સ્થાનિકો અને વન વિભાગ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.





