Rajkot: રાજકોટ જિલ્લામાં ૧૫ હજારથી વધુ લોકો વસ્તીગણતરી માટે ‘સેલ્ફ એન્યુમરેશન’માં જોડાયા

તા.૨૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
નાગરિકો ૩૧ મે સુધી પોર્ટલ પર જઈને ‘સ્વ-ગણના’ કરાવી શકે છે
Rajkot: રાજ્યમાં વસ્તીગણતરીની પ્રક્રિયા અંતર્ગત હાલ સ્વ-ગણનાનો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં નાગરિકો સ્વ-ગણના પોર્ટલ se.census.gov.in પર જઈને ઉત્સાહ સાથે વિગતો ભરીને પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે.
અધિક જિલ્લા વસ્તીગણતરી અધિકારીની કચેરી તરફથી મળેલી વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫,૧૬૮ લોકો સ્વ-ગણનાની પ્રક્રિયામાં જોડાયા છે. જેમાંથી ૧૩,૨૬૮ લોકોએ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે, જ્યારે બાકીના ૧૯૦૦ લોકો દ્વારા વિગતો ભરીને ફાઈનલ સબમિટ કરવાની કામગીરી ચાલી રહી છે.
સમગ્ર રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ ૨,૫૫,૨૧૯ લોકો સ્વ-ગણનામાં જોડાયા છે. જેમાંથી ૨,૧૬,૬૯૬ લોકોએ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે જ્યારે ૩૮,૫૨૩ લોકો દ્વારા ફાઈનલ સબમિશનની કામગીરી ગતિમાન છે.
આ તકે વહીવટી તંત્ર દ્વારા ૩૧મી મે પહેલા વધુમાં વધુ નાગરિકોને સ્વ-ગણનામાં જોડાઈને વિગતો ભરવા અપીલ કરવામાં આવી છે.
સ્વગણના માટે (૧) નાગરિકોએ વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાનું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગઇન કરવાનું હોય છે. (૨) ત્યારબાદ પરિવારના વડાનું નામ અને ૧૦ આંકડાનો મોબાઈલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. (૩) એ પછી ભાષાની પસંદગી અને ઓટીપી વેરિફિકેશન કરાવવાનું હોય છે. (૪) ત્યારબાદ જિલ્લો, ગામ કે શહેર અને પિનકોડની માહિતી દાખલ કરવાની રહેશે. (૫) પછીથી મેપ પર લાલ માર્કર થકી ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું હોય છે. (૬) એ પછી વસ્તીગણતરીને લગતા પ્રશ્નોના જવાબ આપીને ડેટા એન્ટ્રી કરવાની રહેશે. (૭) બાદમાં પ્રિવ્યૂમાં જઈને તમામ વિગતો ચકાસવાની હોય છે. જરૂર પડ્યે તેને એડિટ કરી શકાય છે. (૮) ફાઈનલ સબમિટ પર ક્લિક કરવાથી ડેટા લોક થઈ જશે અને તેમાં કોઈ બદલાવ નહીં કરી શકાય. આ સાથે ૧૧ આંકડાનો યુનિક ‘SE ID’ જનરેટ થશે, જે મોબાઈલ પર એસએમએસથી મળે છે. (૯) છેલ્લે જ્યારે વસ્તીગણતરીના કર્મચારી ઘરની મુલાકાતે આવે ત્યારે તેમને આ આઈડી નંબર બતાવવાનો હોય છે.
વિગતો ભરતી વખતે વસ્તીગણતરીના અધિકૃત પોર્ટલ se.census.gov.inનો જ ઉપયોગ કરવા અને ઓ.ટી.પી. (OTP) કે અન્ય કોઈ દસ્તાવેજો કોઈની સાથે શેર ન કરવા પણ તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.




