
વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિન નિમિત્તે વિજાપુરમાં જનજાગૃતિ રેલી અને વર્કશોપ યોજાય
તમાકુ અને નિકોટીનના વ્યસનનો સામનો કરો” થીમ સાથે લોકોને જાગૃત કરાયા
વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિન-31 મે 2026 અંતર્ગત જિલ્લા ટોબેકો સેલ મહેસાણા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હેલ્થ કચેરી ખાતે જનજાગૃતિ રેલી તેમજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુ અને નિકોટીનના વ્યસનનો સામનો કરો” થીમ આધારીત કાર્યક્રમ દ્વારા લોકોમાં તમાકુના દૂષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એસ.ડી.એચ.ખાતેથી જનજાગૃતિ રેલી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રેલી તાલુકા પંચાયત, ખત્રી કુવા, નગરપાલિકા અને બી.આર.સી. ભવન સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન બેનરો, પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર દ્વારા તમાકુ તથા નિકોટીનના વ્યસનથી થતા નુકસાન અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ રેલીમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ, કે.જે. પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ, અર્બન વિજાપુરની આશાબહેનો, મેલ અને ફિમેલ હેલ્થ વર્કરો, અર્બન હેલ્થ ઓફિસર, એસ.ટી.એસ. પ્રકાશ નાયી તથા ફિમેલ સુપરવાઈઝર ભાનુબેન સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ત્યારબાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે વર્કશોપ યોજાયો હતો. જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા તમાકુ અધિનિયમ-2003 (COTPA) ની કલમ 4, 5, 6(અ) અને 6(બ) અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ તમાકુ અને તમાકુજન્ય પદાર્થોના સેવનથી થતા મોઢાના કેન્સર, ટી.બી., લકવો, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો વિશે સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન “તમાકુમુક્ત વિજાપુર તાલુકો” માટે ઉપસ્થિતોને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તેમજ જનસહભાગિતાથી તમાકુના વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા હેલ્થ કચેરી ના સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ તાલુકાના તમામ 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિનની ઉજવણી કરી લોકોને આરોગ્યપ્રદ જીવન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.




