MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:આયુષ્માન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ: વીરપરના અંજુમબેનની ખાનગી હોસ્પિટલમાં એક પણ રૂપિયાના ખર્ચ વિના સફળ પ્રસુતિ

 

TANKARA:આયુષ્માન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ: વીરપરના અંજુમબેનની ખાનગી હોસ્પિટલમાં એક પણ રૂપિયાના ખર્ચ વિના સફળ પ્રસુતિ

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ ‘આયુષ્માન ભારત – PMJAY યોજના’; મોરબીની ખાનગી હોસ્પિટલમાં વીરપરના અંજુમબેનની થઈ તદ્દન મફત ડિલિવરી

આયુષ્માન કાર્ડના કારણે એક પણ રૂપિયાના ખર્ચ વિના દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ

*સરકારના સહયોગથી મળતા રૂ. ૧૦ લાખના આરોગ્ય કવચે સામાન્ય પરિવારોને મોટી આર્થિક ચિંતામાંથી મુક્ત કર્યા*

“સરકારશ્રીની આયુષ્માન યોજના અમારા જેવા સામાન્ય પરિવારો માટે સાચે જ આશીર્વાદ સાબિત થઈ છે. જો મારી પાસે આ કાર્ડ ન હોત, તો ખાનગી હોસ્પિટલમાં ડિલિવરીના હજારો રૂપિયાનો ખર્ચ ભોગવવો અમારા માટે ખૂબ મુશ્કેલ હોત. પણ સરકારના આ કાર્ડના લીધે મારી દીકરીનો જન્મ એક પણ રૂપિયાના ખર્ચ વગર સુખરૂપ થયો છે.” આ શબ્દો છે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામના વતની અંજુમબેન હાલાના, જેમણે સરકારની યોજનાનો પ્રત્યક્ષ લાભ મેળવીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લજાઈ હેઠળ આવતા વીરપર ગામના રહેવાસી અમીરભાઈ હાલાના પત્ની અંજુમબેન સગર્ભા હતા. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા આ પરિવારને ડિલિવરીના સંભવિત ખર્ચની ચિંતા ન સતાવે તે માટે ટંકારા તાલુકાના આરોગ્ય વિભાગ અને વીરપર સબ-સેન્ટરના સ્ટાફે સક્રિયતા દાખવી અંજુમબેનનું ‘PMJAY કાર્ડ’ સમયસર કાઢી આપ્યું હતું. આ કાર્ડ થકી પરિવારની ચિંતા પળવારમાં દૂર થઈ ગઈ હતી..

*ખાનગી હોસ્પિટલમાં કેસલેસ સારવાર:*
અંજુમબેનને પ્રસુતિની પીડા ઉપડતાં ગત મોરબીની નામાંકિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે હોસ્પિટલના નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ અંજુમબેનની સફળ ડિલિવરી થઈ અને તેમના ઘરે દીકરીનો જન્મ થયો. ત્યારબાદ યોગ્ય સારવાર આપીને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પીએમજેએવાય (PMJAY) કાર્ડ અંતર્ગત આ અદ્યતન ખાનગી હોસ્પિટલમાં દવા, ઓપરેશન અને રોકાણ સહિતની તમામ સેવાઓ તદ્દન ‘કેસલેસ’ પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે પરિવાર પર એક પણ રૂપિયાનો આર્થિક બોજ આવ્યો ન હતો. ડિસ્ચાર્જ બાદ વીરપર સબ-સેન્ટરના આરોગ્ય સ્ટાફ દ્વારા ફોલોઅપ મુલાકાત પણ લેવામાં આવી હતી. હાલ માતા અને બાળક બંને સંપૂર્ણ તંદુરસ્ત અને ખુશહાલ છે.

*પ્રધાન મંત્રી જન આરોગ્ય (PMJAY):*
રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને બીમારીના સમયે આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ‘પીએમજેએવાય’ (PMJAY) યોજના વ્યાપક સ્વરૂપે અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત હાલમાં ગુજરાત સરકાર દ્વારા રૂ. ૫,૦૦,૦૦૦/- અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૫,૦૦,૦૦૦/- એમ મળીને કુલ રૂા. ૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ) સુધીનું વાર્ષિક મફત આરોગ્ય વીમા કવચ આપવામાં આવે છે.
આ આશીર્વાદરૂપ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા (BPL) કુટુંબો, ૭૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો, NFSA રેશનકાર્ડ ધારકો તેમજ વાર્ષિક રૂ. ૪ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારો માન્ય સરકારી અને નિયુક્ત પ્રાઈવેટ હોસ્પિટલોમાં ગંભીર બીમારીઓ તેમજ પ્રસુતિ જેવી સેવાઓ માટે મફત સારવાર મેળવી શકે છે. આ ઉપરાંત, યોજના હેઠળ અંતરિયાળ વિસ્તારના લાભાર્થીઓને હોસ્પિટલ આવવા-જવાના ભાડા પેટે રૂ. ૩૦૦/- ની સહાય પણ ચૂકવવામાં આવે છે.

સરકારશ્રીની આ લોકાભિમુખ યોજના આજે અંજુમબેન જેવા લાખો પરિવારો માટે આશાનું કિરણ બનીને ઉભરી છે, જે નાગરિકોના આરોગ્યની સુરક્ષા સાથે તેમની આર્થિક સુરક્ષા ને પણ મજબૂત કરી રહી છે.

Back to top button
error: Content is protected !!