ગામની માટીનો ધંધો કે વિકાસના નામે વિવાદ? વેદલામાં સરપંચ-ઉપસરપંચ સામે તપાસની માંગ તેજ”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વેદલા ગામે પંચાયતની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ અને માટીના વેચાણના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામના રહેવાસી રાહુલકુમાર ભૂરાભાઈ બ્રાહ્મણએ વાવ થરાદ જિલ્લાની વિવિધ કચેરીઓમાં લેખિત અરજી આપી સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અરજીમાં જણાવ્યા મુજબ, વેદલા મુકામે શંકર ભગવાનના મંદિર નજીક આવેલી પંચાયતની સરકારી જમીનમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરાવી માટીનું ગામ બહાર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં ભરાયા નથી તેવો દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકારી રેકોર્ડની ચકાસણી અને સ્થળ તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવશે તેવી માંગ ઉઠી છે.
અરજદારના જણાવ્યા મુજબ હાલમાં પણ બહારગામના લોકો ટ્રેક્ટર અને ટ્રકો મારફતે ગામમાંથી ખનીજ અને માટી લઈ જઈ રહ્યા છે. આ અંગેના ફોટા અને વીડિયો પુરાવા પણ તૈયાર કરવામાં આવ્યા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરાયો છે.



