MORBI:મોરબીમાં આર્થિક તંગીથી કંટાળી કલરશોપના વેપારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું







MORBI:મોરબીમાં આર્થિક તંગીથી કંટાળી કલરશોપના વેપારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધંધામાં લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક તંગી અને પૈસાની અછતથી પરેશાન થઈને એક ૪૦ વર્ષીય વેપારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવને પગલે સ્થાનિક વેપારી આલમ અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબીના ગ્રીન ચોક પાસે આવેલી ઘોડા ફળી, મોટી હનુમાન શેરીમાં રહેતા વિરાજ નવનીતભાઈ દફતરી (ઉંમર વર્ષ ૪૦) નામના વેપારીએ પોતાના મકાનના રૂમમાં છતના પંખા સાથે કાપડની ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને આ અંગે જાણ થતાં જ ઘરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતકના પત્નીએ આપેલા નિવેદન મુજબ:મૃતક વિરાજભાઈ કલરશોપ (રંગ-રોગાનની દુકાન) ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.છેલ્લા કેટલાક સમયથી ધંધામાં મંદી અને પૈસાની ભારે તંગી વર્તાઈ રહી હતી.આ આર્થિક ભીંસના કારણે તેઓ સતત માનસિક તણાવ (ડિપ્રેશન) માં રહેતા હતા. આર્થિક તંગીના ટેન્શનમાં આવીને વેપારીએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને આગળની સઘન તપાસ શરૂ કરી છે.



