
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
પરંપરાગત કૃષિ છોડીએ, અપનાવીએ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ.
માંડવી ,તા-૧૮ જૂન : કૃષિ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તનો છે.રાજ્યમાં ખેડૂતો પરંપરાગત કૃષિ છોડી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું અનેરું મહત્વ છે. જમીનના ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યની ખામીને કારણે, જમીનમાં પોષક તત્વોની ઉણપ ન હોવા છતાં સારું ઉત્પાદન મેળવવામાં મુશ્કેલી થાય છે. જમીનમાં છોડને યોગ્ય પ્રમાણમાં ભેજ અને પોષક તત્વો ઉપલબ્ધ નથી થઈ શકતા અને વરાપ તથા ભેજનું નિર્માણ નથી થઈ શકતું. જો જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ જાય તો ઓછા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ થવા છતાં પણ સારું ઉત્પાદન લઈ શકાય છે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિમાં આ ગુણ આપમેળે જ જમીનમાં ઉપલબ્ધ થઈ જાય છે. જમીન ચકાસણીમાં એ પણ સામે આવ્યું છે કે, ઘણા પોષક તત્વો જમીનના નીચેના સ્તરોમાં જમા થઈ જાય છે. નીચેના સ્તરની જમીન અન્નપૂર્ણા છે. નીચેની જમીનમાંથી ઉપરની જમીનના સ્તર પર પોષક તત્વ લાવવાનું કાર્ય પાનખરમાં ખરેલા જૈવિક પદાર્થના વિઘટક કેશાકર્ષક શક્તિ દ્વારા અને આપણાં દેશી અળસિયા કરે છે. અળસિયા તેમને ખેંચીને ઉપર લઈ આવીને પોતાના માધ્યમથી મૂળને ઉપલબ્ધ કરાવવાનું મહાન કાર્ય પાર પાડે છે. જો તમે જમીન પર પડેલ દેશી ગાયનું છાણ ઉઠાવશો તો તમે જોશો કે, છાણની નીચે જમીનમાં બે-ચાર છિદ્રો છે, આ છીદ્રો દેશી અળસિયા કરે છે. તેનો મતલબ છે કે, દેશી ગાયના છાણમાં અળસિયાઓને ઉપર ખેંચી લાવવાની અદ્દભૂત તાકાત છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ખોરાક બનાવનાર અતિ ઉપયોગી ૩૦૦ થી ૫૦૦ કરોડ જીવાણું છે.
૦૧ એકર જમીન માટે કેટલું છાણ જોઈએ ?
એક મહિનાની અંદર ઓછામાં ઓછું એક વખત પ્રતિ એકરમાં ૧૦ કિલોગ્રામ દેશી ગાયનું છાણ ઉપયોગમાં લેવું જરુરી છે. ૦૧ દેશી ગાય એક દિવસમાં ૧૧ કિલોગ્રામ છાણ, એક દેશી બળદ એક દિવસમાં ૧૩ કિલોગ્રામ છાણ અને ૦૧ ભેંસ એક દિવસમાં ૧૫ કિલોગ્રામ છાણ આપે છે. ૦૧ દેશી ગાયનું એક દિવસનું છાણ એક એકર જમીન માટે એક મહિના માટે પૂરતું છે. એક દેશી ગાય થકી ૩૦ એકર જેટલી જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરી શકાય છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તે માટે રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા જાળવવા માટે અને એક પ્રકારે લોકોને વિવિધ પ્રકારના રોગોથી બચવા માટે આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ એ એક મજબૂત વિકલ્પ બનશે.



