વિજાપુર સીટી સેન્ટર કોમ્પ્લેક્સ મુદ્દે RTI હેઠળ માહિતી માંગાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરના આનંદપુરા ચોકડી પાસે નિર્માણ પામેલા સીટી સેન્ટર કોમ્પ્લેક્સને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. શહેરના સૈયદ મુસ્તકીમ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ વિવિધ વિભાગો પાસેથી જમીન, એન.એ. મંજૂરી, નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી દિવાલ તથા તેના ખર્ચ સહિતના મુદ્દાઓ અંગે માહિતી માંગવામાં આવી છે.
અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે કે કોમ્પ્લેક્સ માટે ઉપયોગમાં લેવાયેલી જમીનમાં કથિત રીતે “પોત ખરાબો” હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાતું રહ્યું છે. તેથી જમીનના એકીકરણ અને એગ્રીકલ્ચરથી નોન-એગ્રીકલ્ચર (N.A.)માં ફેરફારની પ્રક્રિયા કયા આધારે હાથ ધરાઈ હતી, તેની તમામ મંજૂરીઓ અને દસ્તાવેજો જાહેર કરવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે નગરપાલિકા દ્વારા જાહેર નાણાંના ખર્ચે કોમ્પ્લેક્સને અડીને દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તે દિવાલ તોડી પાડવામાં આવી હતી. આ દિવાલ શા માટે બનાવવામાં આવી, તેને તોડવાનો નિર્ણય કોના આદેશથી લેવાયો, તેના પાછળનો વહીવટી અને ટેકનિકલ આધાર શું હતો તેમજ સમગ્ર ખર્ચની વિગતો જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
અરજદારે સમગ્ર મામલે જમીનના રેકોર્ડ, એન.એ. મંજૂરી, નગરપાલિકાના ઠરાવો, ખર્ચ અને વહીવટી પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ, સત્તાનો દુરુપયોગ અથવા જાહેર નાણાંના દુરુપયોગના પુરાવા મળે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
આ મામલે અરજદારે સ્પષ્ટ કર્યું છે કે તેમની રજૂઆતનો હેતુ કોઈ વ્યક્તિ પર આરોપ મૂકવાનો નથી, પરંતુ માહિતી અધિકાર હેઠળ હકીકતો સામે આવે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે જરૂરી માહિતી મેળવવાનો છે. હવે સંબંધિત વિભાગો RTI અરજીના જવાબમાં શું માહિતી આપે છે તેના પર સ્થાનિક નાગરિકોની નજર મંડાઈ છે.




