MORBI:મોરબી તાલુકામાં 7/12 ના દાખલા માટે ખેડૂતો હેરાન-પરેશાન: મામલતદાર કચેરીના ઓનલાઈન દાખલા જ માન્ય રાખવા સામે વિરોધ

MORBI:મોરબી તાલુકામાં 7/12 ના દાખલા માટે ખેડૂતો હેરાન-પરેશાન: મામલતદાર કચેરીના ઓનલાઈન દાખલા જ માન્ય રાખવા સામે વિરોધ
ગામડાના તલાટી મંત્રીના દાખલા બેંકો અને અન્ય વહીવટમાં સ્વીકારવા ગ્રાહક સુરક્ષા મંડળની મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી તાલુકાના ખેડૂતોને બેંક ધિરાણ તેમજ અન્ય સરકારી વહીવટી કામગીરી માટે 7/12 (સાત-બાર) ના ઉતારાની સતત જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ હાલમાં મોરબી મામલતદાર કચેરી ખાતેથી જ નીકળેલા 7/12 ના દાખલા જ બેંકો અને અન્ય વિભાગોમાં માન્ય ગણવામાં આવતા હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સર્વર ડાઉન અને એક જ કોમ્પ્યુટરથી ખેડૂતોનો કિંમતી સમય બગડે છે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં માત્ર એક જ કોમ્પ્યુટર પર આ કામગીરી થઈ રહી છે. ઉપરાંત, BSNL ના નેટવર્ક અને સરકારી સર્વરની ધીમી ગતિ અથવા તો અવારનવાર સર્વર ઠપ્પ થઈ જવાના કારણે કર્મચારીઓ પણ લાચાર બની જાય છે. પરિણામે, દૂર-દૂરના ગામડાઓમાંથી આવતા ખેડૂતોને સવારથી સાંજ સુધી કચેરીમાં બેસી રહેવું પડે છે અને આખરે ખાલી હાથે પાછા ફરવાનો વારો આવે છે.
તલાટી મંત્રી દ્વારા આપવામાં આવતા દાખલા કેમ માન્ય નથી?હાલમાં ગ્રામ પંચાયત કે અન્ય ઓનલાઈન માધ્યમથી મેળવેલા 7/12 ના દાખલાને બેંકો કે અન્ય કચેરીઓ માન્ય રાખતી નથી. રજૂઆતમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે, ગ્રામ પંચાયતના તલાટી મંત્રી પણ એક જવાબદાર સરકારી અધિકારી જ છે. જો તેમના દ્વારા સહી-સિક્કા કરીને આપવામાં આવતા 7/12 ના દાખલા તમામ જગ્યાએ માન્ય ગણવામાં આવે, તો:ખેડૂતોને પોતાના જ ગામમાં સરળતાથી દાખલા મળી રહે અને ધક્કામાંથી મુક્તિ મળે.મામલતદાર કચેરી પરથી કામનું ભારણ ઘટે.ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખીને ગ્રામ પંચાયત સ્તરેથી ઇશ્યૂ થતા 7/12 ના દાખલાને બેંકિંગ તેમજ વહીવટી કામકાજમાં માન્ય રાખવા માટે યોગ્ય નિર્ણય લેવાની વિનંતી સાથે આ રજૂઆતની નકલ મુખ્યમંત્રીશ્રી, મોરબી જિલ્લા કલેક્ટરશ્રી તથા મામલતદારશ્રીને પણ રવાના કરવામાં આવી છે.








