Rajkot: “વિરાસતથી વિકાસ લોકમેળા વિશેષ – ૦૬” રાજકોટના લોકમેળામાં મેડિકલ ઈમરજન્સી માટે બે શિફ્ટમાં ડોકટર્સની ટીમ તૈનાત રહેશે

તા.૧/૯/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તા. ૨ થી તા.૬ સપ્ટેમ્બર દરમિયાન વિરાસતથી વિકાસ લોકમેળાનું આયોજન કરવા આવ્યું છે. જેમાં ઈમરજન્સી સમયે નાગરિકોને મેડિકલ સેવા પુરી પાડવા તેમજ ડિઝાસ્ટર સંબંધી આરોગ્યલક્ષી કામગીરીને પહોંચી વળવાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમો બે શિફ્ટમાં ફરજ બજાવશે.
રાજકોટમાં દર વર્ષે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો ફક્ત રાજકોટમાં જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લોકપ્રિય લોકમેળો છે. આ લોકમેળાની મજા માણવાં લાખો મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મુલાકાતીઓનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તેમજ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સની જુદી-જુદી ટીમો શિફ્ટ પ્રમાણે ફરજ બજાવશે. તા.૨ સપ્ટેમ્બરથી તા.૬ સપ્ટેમ્બર, પાંચ દિવસ સુધી યોજાનારા લોકમેળામાં દરરોજ સવારે ૧૦ વાગ્યાથી રાત્રીએ મેળો પૂર્ણ થયા સુધી આરોગ્યની ટીમો શિફ્ટ મુજબ તૈનાત રહેશે. આરોગ્ય ટીમમાં મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્ય શાખાનાં કર્મચારીઓ ફરજબદ્ધ રહેશે. નાગરિકોને ઈમરજન્સી મેડીકલ સેવા પુરી પાડવા જરૂરી ફર્સ્ટ એઈડ બોક્સ, દવાઓ તથા સહિતની સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઈમરજન્સી મેડિકલ સેવા આપવા ૧૦૮ની બે એમ્બ્યુલન્સ જરૂરી સાધન સામગ્રી તથા સ્ટાફ સાથે સ્ટેન્ડબાય રહેશે.


