
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી આશ્રમ રોડ પર બાઇક-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 28 વર્ષીય યુવકનું મોત –
શામળાજી : શામળાજી આશ્રમ રોડ પર શીત કેન્દ્ર નજીક બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 28 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ ઈસરીના મઠ ગામના રહેવાસી કલાસ્વા કિશન કનુભાઈ શામળાજી મંદિર ખાતે દર્શન કરી બાઇક પર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન આશ્રમ રોડ પર શીત કેન્દ્ર નજીક પાદર મહુડી–ભિલોડા રૂટની બસ સાથે તેમની બાઇકનો અકસ્માત થયો હતો.પ્રાથમિક માહિતી મુજબ બસની ટક્કરથી બાઇકચાલક કિશન કનુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



