
દેવમોગરા ખાતે યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ રૂ.૧૩.૦૨ કરોડના પ્રોજેક્ટની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી મંજૂરી,

વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ યાહામોગી માતાજી મંદિર, દેવમોગરા આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. દેવમોગરા ખાતે શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિવિધ તબક્કાઓમાં વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ફેઝ-૧ હેઠળ રૂ.૧૧.૩૩ કરોડના ખર્ચે ધર્મશાળા, સેન્ટ્રલ વિસ્ટા, ટોઇલેટ બ્લોક, પથ્થરના પ્રવેશદ્વાર, પાર્કિંગ, પાથવે તથા ૨૯૫ દુકાનો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. આ સુવિધાઓના નિર્માણથી દેવમોગરા ખાતે આવતા શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓ માટે જરૂરી પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
હવે દેવમોગરાના વધુ વિકાસ માટે ફેઝ-૨ના રૂ.૧૩.૦૨ કરોડના ખર્ચના પ્રોજેક્ટની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ફેઝ-૨ હેઠળ બે નવા ટોઇલેટ બ્લોક, ટ્રસ્ટની જગ્યામાં ધર્મશાળા તથા શ્રી યાહામોગી માતાજી મંદિરના ગર્ભગૃહનું રિનોવેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ વિકાસ કામગીરીથી દેવમોગરા ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ, સ્વચ્છતા તથા મંદિર પરિસરની સુવિધાઓમાં વધારો થશે અને ધાર્મિક પ્રવાસનને વધુ વેગ મળવાની સાથે સ્થાનિક રોજગારી તથા આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.



