MEHSANAMEHSANA CITY / TALUKO

“શિવ અવરણથી સ્વર્ણિમ ભારત “અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કિસાન સંમેલન યોજાયું

પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના સ્વર્ણિમ મહોત્સવ પ્રસગે “શિવ અવરણથી સ્વર્ણિમ ભારત “અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કિસાન સંમેલન યોજાયું

***

પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

………………………………………………………………0000000000000………

:-રાજ્યપાલશ્રી:-

પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ અને આત્મનિર્ભર ગામડાનું નિર્માણ કરીએ…

“પ્રાકૃતિક કૃષિથી આહાર શુધ્ધિ” ખેડૂતો માટે ઇશ્વરીય કાર્ય છે.

—————————–0000000000000000————-

પ્રાકૃતિક ખેતીથી ગામડાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધે- રાજ્યપાલશ્રી

……

મહેસાણા

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે  મહેસાણા ખાતે બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના સ્વર્ણિમ મહોત્સવ પ્રસંગે  કિસાન સંમેલનમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી સમૃદ્ધ અને આત્મનિર્ભર ગામડાઓનો આધાર બનવાની છે. પૌરાણિક ગ્રામ વ્યવસ્થા માટે ગામડાઓએ આત્મનિર્ભર કૃષિની દિશામાં આગળ વધવા તેમણે અનુંરોધ કર્યો  હતો.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃધ્ધ કરવા પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વવાન  કર્યું છે અને પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અનુરોધ કર્યો છે, જેને સાકાર કરવા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ઉપાડ્યું છે. જેના પરીણામ સ્વરૂપે રાજ્યમાં સવા ત્રણ લાખ જેટલા ખેડૂતો આ અભિયાનમાં જોડાયા છે.

રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પશુધન વિના શક્ય નથી. પ્રાકૃતિક કૃષિ માટે દેશી નસલની ગાયનું સૌથી વધુ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું હોય છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયભૂત થાય છે.

પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિધ્ધાંતોને સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ, ગૌ-મુત્રથી બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. જેથી સ્વસ્થ બીજ દ્વારા ઝડપી અંકુરણ થાય છે. ગાયના છાણ-ગૌ મૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત-ઘનજીવામૃત સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે કલ્ચર સ્વરૂપે કાર્ય કરે છે. આ પદ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવામાં આવે છે જેને મલ્ચીંગ કહેવાય છે. મલ્ચીંગને કારણે જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે, જેથી પાણીની જરૂરિયાત ઓછી થાય છે. મલ્ચીંગથી નિંદામણની સમસ્યાનો હલ થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને  દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે.

રાજ્યપાલશ્રીએ અળસિયાં જેવા જીવોને ખેડૂતોના મિત્રજીવ ગણાવી ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત-ઘનજીવામૃતના ઉપયોગથી આ મિત્ર જીવો અને સહાયક સૂક્ષ્મજીવોની વૃધ્ધિ થાય છે. તેમણે જણાવ્યું હતું કે અળસિયાં જમીનમાં અસંખ્ય છીદ્રો બનાવી જમીનને નરમ બનાવે છે. માટીમાં રહેલાં જટીલ ખનીજ તત્વોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. જેનું છોડના મૂળ દ્વારા શોષણ થાય છે અને છોડને પોષણ મળે છે. અળસિયાંએ બનાવેલાં અસંખ્ય છીદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનનાં ઉતરે છે અને કુદરતી રીતે જળસંચય થાય છે

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જંગલમાં વૃક્ષ-વનસ્પતિઓનો રાસાયણિક ખાતર કે જંતુનાશકો વિના પ્રાકૃતિક રીતે વૃધ્ધિ વિકાસ થાય છે એ જ પ્રાકૃતિક પધ્ધતિથી ખેતરમાં ઉત્પાદન મેળવવું એ પ્રાકૃતિક કૃષિ છે.

રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી  જણાવ્યું હતું કે એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ શક છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, કૃષિ ઉત્પાદન ઘટતું નથી. દેશી ગાયનું જનત અને સંવર્ધન થાય છે. પાણીની બચત થાય છે. કૃષિ ખર્ચ નહિવત્ આવવાથી અને સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધુ મળવાથી સરવાળે ખેડુતોને ફાયદો થાય છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી દુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબીટીસ, હ્રદયરોગ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં દિનપ્રતિદિન ખર્ચ વધી રહ્યો છે જ્યારે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે

રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક ખેતીને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ ગણાવી  જણાવ્યું હતું કે ઓર્ગેનિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. વર્મી કમ્પોસ્ટના નિર્માણનો ખર્ચ વધુ થાય છે. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતો માટે ઓર્ગેનિક કૃષિ વિશેષ લાભદાયી નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌ મુત્રની મદદથી બનતા જીવામૃત ઘન જીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવોની અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃધ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. ઉત્પાદન વધે છે. કૃષિ ખર્ચ ઘટે છે. કૃષિ ખર્ચ નહિવત અને ઉત્પાદન પૂરતુ મળવાને કારણે આ પધ્ધતિ ખેડૂતો માટે લાભદાયી છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે ,પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિદ્યાલય દ્વારા સમસ્ત ભારત અને વિશ્વમાં આધ્યાત્મિકતા, મેડીટેશન અને માનવ કલ્યાણ હેતુ વિવિધ સંકલ્પો કરાઇ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ આદી કાળથી આધ્યાત્મિક સંસ્કૃતિ રહી છે. વેદો-ઉપનિષદોના દેશમાં ઋષિ મુનિઓએ જીવનનો સંદેશ આપ્યો છે. ભારતમાં વૈદિક અને આધ્યાત્મિક પરંપરાથી આપણે સદા આનંદીત અને સુખી થયા. મનુષ્ય શરીરમાં મહત્વપૂર્ણ ચીજ વિચારધારા છે, આ વિચારધારાથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે દિશામાં બહ્માકુમારી ઇશ્વરીય વિધાલય દ્વારા કિસાન સંમેલનનું આયોજન કર્યું છે.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના બદ્રી વિશાલભાઇએ તેમજ રાજયોગીની ઉષાદીદીએ પ્રાકૃતિક કૃષિ સંદર્ભે તેમજ યોગ સંદર્ભે વિગતે સમજ આપી હતી.રાજ્યપાલશ્રીએ મહેસાણા ખાતે આયોજીત બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલયના સ્વર્ણિમ મહોત્સવમાં વિવિધ પ્રદર્શની નિહાળી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી મુકેશભાઇ પટેલ,જિલ્લા કલેકટર એમ નાગરાજન, રાજયોગીની બ્રહ્માકુમારી સરલાદીદી, ગુજરાત ઝોનના બ્રહ્માકુમારી ભારતીદીદી, રાજયોગીની બ્રહ્માકુમારી ઉષાદીદી, ઉત્તર પ્રદેશના કૃષિ વિભાગના સહાયક નિર્દેશક બ્રહ્માકુમાર બદ્રી વિશાલભાઇ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો,બ્રહ્માકુમારી અને બ્રહ્માકુમાર તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!