GUJARATKUTCHMANDAVI

મકાઇના ઊભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ(ફોલ આર્મીવોર્મ)ના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા ઉપાય સૂચવાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૬ ઓગસ્ટ : ચોમાસામાં મકાઇના ઊભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ(ફોલ આર્મીવોર્મ)ના સંકલિત વ્યવસ્થાપન અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક ઉપાયો સુચવાયા છે. વરસાદીની સિઝનમાં જો જીવાતોનો ઉપદ્રવ જોવા મળે તો ખેડૂતો કેટલાક ઉપચારક પગલા ભરવાથી રોગને નિયંત્રણ કરી શકે છે.ખેતરમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતનાં પુખ્તને આકર્ષી નાશ કરવો. આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષવા માટે ૫૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટર (૨૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર) લગાવવી તથા લ્યુર ૪૦ દિવસે બદલવી. ઈંડાના સમૂહ અને જુદાં-જુદાં તબક્કાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરી નાશ કરવો. આ જીવાતનાં બિન-રાસાયિણક નિયંત્રણ માટે માટી અથવા રેતી ૫ ગ્રામ/છોડ વાવણીના ૩૦ અને ૪૫ દિવસ પછી ભૂંગળીમાં આપવાથી સારું નિયંત્રણ મળે છે. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ ડબલ્યુજી (૧૦ ૮ સીએફયુ/ગ્રામ) ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેઝીયાના (૨x ૧૦ ૮ સીએફયુ/ગ્રામ) ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિલિ (પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિલિ (૫% ઈસી) થી ૫૦ મિલિ (૦.૦૩ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. આઈસોસાયક્લોસેરમ ૧૮.૧ એસસી ૬ મી.લિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૧.૫% + પ્રોફેનોફોસ ૩૫% ડબલ્યુડીજી ૧૫ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મી.લિ અથવા સ્પીનેટોરમ ૧૧.૭ ઇસી ૧૦ મી.લિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈના વાવેતર બાદ પ્રથમ છંટકાવ ૨૫ થી ૩૦ દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસ બાદ કરવો જોઈએ. જો બંને વખતે પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તો કીટનાશક બદલવી. ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ ટકા સી.જી (દાણાદાર કીટનાશક) ૨૦ કિ.ગ્રા./હે. ભૂંગળીમાં આપવાથી ટપકાવાળી લશ્કરી ઇયળનું નિયંત્રણ કરી શકાય છે. ડાંગરની કુશકી અથવા મકાઈનો લોટ ૨૫ કિ.ગ્રા. + ગોળ પ કિ.ગ્રા. + થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૫૦ ગ્રામમાંથી બનાવેલ વિષ પ્રલોભિકા ભૂંગળીમાં આપવી (વિષ પ્રલોભિકા બનાવવા ગોળને ૫ લિટર પાણીમાં ઓગાળી તેને ૨૫ કિ.ગ્રા. ડાંગરની કુશકી/મકાઈના લોટમાં ૧૦-૧૨ કલાક ભેળવવું અને માવજતમાં ઉપયોગ કરતા પહેલા તેમાં ૨૫૦ ગ્રામ થાયોડીકાર્બ ઉમેરી બરાબર ભેળવવું).ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી અને જો કીટનાશકનો છંટકાવ કર્યો હોય તો ૩૦ દિવસ બાદ જ ઢોરને ખવડાવવી. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે .

Back to top button
error: Content is protected !!