વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ આહવા-વઘઈ રોડ પર પોલિટેકનિકલ કોલેજ નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ ઘટનાની જાણ થતા જ આહવા-1 લોકેશનની 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો.ત્યારે ફરજ પરના ઇએમટી સંદીપભાઈ કુવર અને પાયલોટ સમીરભાઈ કે. સૈયદ તાત્કાલિક ઘટનાસ્થળે એમબ્યુલન્સ લઈ પહોંચ્યા હતા.અહી ઘટનાસ્થળે પહોંચતા પહેલાં જ ટીમે ફોન પર જ ઘાયલ વ્યક્તિને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાજેશભાઈ પવાર(રહે. કોટબા ગામ, તા. આહવા, જીલ્લા ડાંગ) ને તાત્કાલિક સર્વાઇકલ કોલર પહેરાવવામાં આવ્યો હતો અને સ્પાઇન બોર્ડ પર સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા હતા.એમ્બ્યુલન્સમાં તેમની લોહી વહેવાની પ્રક્રિયાને અટકાવવામાં આવી હતી તેમજ માથા, હાથ અને પગના ભાગે થયેલી ઈજાઓ પર ડ્રેસિંગ અને પાટા બાંધીને તેમને સ્થિર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ એમ્બ્યુલન્સ સ્ટાફે તેમના વાઈટલ ચિહ્નો તપાસ્યા અને ડોક્ટરની સલાહ અનુસાર તેમને જરૂરી ઇન્જેક્શન અને બોટલ ચડાવવામાં આવ્યા હતા.પ્રાથમિક સારવાર બાદ રાજેશભાઈ પવારને વધુ સારવાર માટે સીએચસી વઘઈ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.અહી માનવીય અભિગમ દાખવતા 108 એમ્બ્યુલન્સ ટીમે ઘાયલ રાજેશભાઈ પાસેથી મળી આવેલી રોકડ રકમ 19,500 રૂપિયા અને અંદાજિત 25,000 રૂપિયાની કિંમતનો તેમનો મોબાઇલ ફોન, એમ કુલ મળીને 34,500 રૂપિયાનો મુદ્દામાલ સીએચસી વઘઈના ફરજ પરના ડોક્ટર નિધિને સલામત રીતે સોંપ્યો હતો.આહવા-1 લોકેશનની આ સરાહનીય કામગીરી બદલ તેમના ઉપરી અધિકારી પીએમ હેમંત સોલંકી અને ઇએમઇ વિજય ગામીત તેમજ સમગ્ર એમ્બ્યુલન્સ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.તેમની ત્વરિત અને કુશળ કામગીરીને કારણે ઘાયલ વ્યક્તિને સમયસર યોગ્ય સારવાર મળતા નવુ જીવનદાન મળ્યુ હતુ..