વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર ,તા-૧૩ માર્ચ : ગુજરાત સરકારે રાજ્યના બાળકોના આરોગ્યની હંમેશાં ચિંતા કરી છે, કારણ કે આ બાળકો જ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૯૮માં રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલી કરાયેલી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અન્વયે દર વર્ષે રાજ્યના સેંકડો બાળકોની આરોગ્ય તપાસ કરી બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓની સમયસર ઓળખ, નિદાન અને સારવાર કરવામાં આવે છે. આ યોજનાના પરિણામે અનેક બાળકોને ગંભીર બીમારીમાંથી જીવતદાન મળ્યું છે. જેમાં કચ્છના અંજારના નવાનગર વિસ્તારના રહેવાસી ઘાચી પરિવારના નવજાત બાળકનો પણ સમાવેશ થાય છે.અંજારમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની થકી અંજારના નવાનગરના કાસમભાઇ ઘાચીનું બાળક ફરી હસતું રમતુ્ં થયું છે. આ નવજાત બાળકનું નીચલું જડબું અવિકસિત હતું. જન્મથી જ “પિયર રોબિન સિન્ડ્રોમ” નામની ગંભીર બીમારી ધરાવતા બાળકને તેના મોઢાનું નીચલું જડબુ જીભને પાછળ ધકેલી દેતું હતું. જેનાથી શ્વાસનળીના માર્ગમાં અવરોધ ઉભો થતો હતો અને તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થતી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અને RCHOશ્રી કચ્છના પ્રયત્નોથી અંજારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા આ બાળકને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે સઘન સારવાર માટે મોકલવામાં આવ્યું હતું. જ્યાં અમદાવાદની સિવીલ હોસ્પિટલનાં નિષ્ણાંત તબીબો દ્વારા સંપૂર્ણ સારવાર કરવામાં આવી હતી અને સફળતાપૂર્વક બાળકની જીભને મોઢાની પાછળની બાજુમાં ખુલ્લી જગ્યામાં સ્થાનાંતરિત કરાઈ હતી. આમ આ યોજના થકી બાળકને જીવનદાન મળ્યું હતું. બાળકના માતા-પિતાએ રાજ્ય સરકાર અને કચ્છની આરોગ્ય વિભાગની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.