ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં જાત્રા અને મેળો યોજાશે, પંચાયતે 600 પ્લોટની ફાળવણી કરી લાઈટ પાણીની સુવિધાઓમાં જોતરાઈ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે 12 નવેમ્બરથી યોજાનારા મેળાને અનુલક્ષી તડામાર તૈયારી શુકલતીર્થ પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતે 600 જેટલા પ્લોટની ફાળવણી કરીને તેમને લાઈટ, પાણી સહીતની સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે. મેળામાં લાગનાર ચકડોળ સહિતના મનોરંજનના સાધનોની કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે. મેળાની મજા માણવા રાજ્યભરમાંથી લોકો ઉમટી પડશે.
ભરૂચથી 17 કિલોમીટર દૂર આવેલા શુક્લતીર્થ ગામે કારતક સુદ 12મીએ કારતકી અગિયારસના દિવસથી પૌરાણિક જાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શુકલતીર્થ ગામમાં મુખ્ય સ્વયંભૂ વિષ્ણુ ભગવાનની મૂર્તિ તેમજ શુક્લેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે સદીઓ પુરાણુ મંદિર ગણવામાં આવે છે. રાજા ચાણક્યએ ઉમાપતિની આરાધના કર્યા બાદ શુકલતીર્થ ખાતે મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. આ સ્થળે પાતાળમાંથી સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું હતું જે આજે શુકલેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. આ મંદીરે દર વર્ષે કારતકી અગિયારસના દિવસથી સાત દિવસ ભાતીગળ મેળો ભરાય છે જેમાં સમગ્ર રાજયમાંથી લોકો મેળો મહાલવા ઉમટી પડે છે.
શુકલતીર્થ ગ્રામ પંચાયત તરફથી ખાણીપીણીના અને તંબુઓ મળી કુલ 600 પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં પંચાયતના સરપંચ રણધીરસિંહ માંગરોલાની આગેવાનીમાં પંચાયત દ્વારા મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જાત્રાળુઓ માટે સ્નાનઘાટ નર્મદા કિનારા સુધી જવા માટે માર્ગ, સ્ટોલ અને અન્ય મનોરંજન ચીજવસ્તુઓ સાથે તરવૈયાઓની ટીમ,નાવડી, ફાયરબ્રિગેડ, વીજ કંપની સહિતનો સ્ટાફ સુરક્ષા તેમજ વ્યવસ્થા માટે મેળાનાં સ્થળે 24 કલાક કાર્યરત રહેનાર છે. આ આયોજન પેટે મેળામાં હાલમાં પીવાના પાણીની સગવડ અને લાઈટની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરાવવા કવાયત હાથ ધરી છે. મેળામાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પાંચ દિવસ પ્રકૃતિનાં ખોળે નદી કિનારે તંબુ નાંખી પરિવાર સાથે લોકો મેળા અને જાત્રાની મજા માણે છે.



