ગુજરાતની હવા પણ ઝેરી બની, અમદાવાદ ત્રીજા ક્રમે દેશમાં !!!
દિલ્હી બાદ હવે ગુજરાતની હવા પણ ઝેરી બની રહી છે. છેલ્લાં ત્રણેક દિવસથી અમદાવાદ શહેરની હવા અશુદ્ધ બની રહી છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં શ્વાસ-અસ્થમાના દર્દીઓ માટે જોખમી વાતાવરણ બની રહ્યું છે. ગુરુવારે (24 જાન્યુઆરી) વહેલી સવારે વાયુ પ્રદુષણ એટલી હદે બગડ્યું કે, એર કવોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો હતો. નોંધનીય છે કે, બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છેક 173 સુધી પહોંચ્યો હતો. આમ, વાયુ પ્રદૂષણને નાથવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય અમદાવાદીઓને શુદ્ધ હવા મળી શકે તેમ નથી.
ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારની સરખામણીમાં અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જાન્યુઆરી માસમાં જ છેલ્લાં ત્રણેક દિવસથી એર કવોલિટી ઇન્ડેક્સ 150થી વધુ રહ્યો છે. સામાન્ય રીતે PM 2.5 (Particulate Matter 2.5)ની માત્રા 25થી ઓછી હોવી જોઈએ. ગુરુવારે અમદાવાદમાં PM 2.5ની માત્રા વધીને 60 સુધી પહોંચી ગઈ હતી. આ ઉપરાંત હવામાં PM 10નું પ્રમાણ 50થી ઓછું હોય તો શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, ગુરુવારે વહેલી સવારે પીએમ 10નું પ્રમાણ 134 સુધી પહોંચ્યું હતું. હવામાં આ ઝેરી રજકણો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. એર કવોલિટી ઇન્ડેક્સ પણ 50થી ઓછો હોય તો હવા એકદમ શુદ્ધ હોય છે.
અમદાવાદમાં કઠવાડા, ચાંદખેડા, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અને સેટેલાઇટમાં સૌથી વધુ હવા ઝેરી બની હતી કેમકે, આ વિસ્તારોમાં એર કવોલિટી ઇન્ડેક્સ છેક 157થી માંડીને 159 સુધી પહોંચ્યો હતો. હવામાં ઝેરી રકજણોનું પ્રમાણ વધતાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહે છે. આ ઝેરી હવા ફેફસામાં પ્રવેશે તો બ્રોન્કાઇટીસ, ફેફસાનું કેન્સર, બ્રેઇન સ્ટ્રોક, હૃદય રોગ સહિતના રોગો થવાની સંભાવના રહે છે.
અમદાવાદમાં ભયજનક સ્તરે વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે, તે જોતાં અમદાવાદ પણ દિલ્હી બનવા તરફ આગળ વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણમાં ભારતમાં ટોચના દસ શહેરોમાં દિલ્હી, કોલકત્તા પછી અમદાવાદ ત્રીજા ક્રમે રહ્યું છે. ગુજરાતમાં વાપી, અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારો કરતાં અમદાવાદ મોખરે રહ્યું છે. આમ, વાયુ પ્રદુષણને કાબૂમાં લેવા મ્યુનિસિપલ કૉર્પોરેશનથી માંડી જીપીસીબી દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાંય સ્થિતિમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો.
હવામાં વાયુ પ્રદુષણનું પ્રમાણ એર કવોલિટી ઇન્ડેક્સ આધારે ખબર પડે છે. અમદાવાદમાં ગુરુવારે એર કવોલિટી ઇન્ડેક્સ 150નો આંકડો પાર કરી ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, જો 150 AQI હોય તો તે સ્થળ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એટલું જ નહીં, એ સ્થળે શ્વાસ લેવાથી ત્રણ સિગારેટનો ઘુમાડો ફેફસામાં પ્રવેશ છે.
હવામાં ઝેરી રજકણો વધે તો સ્વાસ્થયને નુકશાન પહોંચાડે છે. તબીબોના જણાવ્યા અનુસાર, જો એર ક્વોલિટી ઇન્ડેકસ 150થી વઘુ હોય તો દમ, અસ્થમા, હૃદયરોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ સંજોગોમાં આવા દર્દીઓએ ઘરમાં જ રહેવું હિતાવહ છે, તેમજ એર પ્યોરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. જો બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરવું જોઈએ.