દેશની 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ, સુરક્ષાના ભાગરૂપે હજારો લોકોનું સ્થળાંતર

દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાને કહેર ભારે આફત લઈને આવ્યું છે. અનેક નદીઓ ગાંડીતૂર બનવાના કારણે પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં અનેક નદીઓના જળસ્તરમાં વધારો થતા પૂરનું સંકટ ઉભું થયું છે. આ ઉપરાંત કેન્દ્રીય જળ આયોગ (CWC) ના રિપોર્ટ મુજબ, ગુજરાતની કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થયો હોવાના કારણે પૂરનું સંકટ ઊભું થયું છે. આયોગે નર્મદા, તાપી, મહિસાગર નદીઓનાં જળસ્તરમાં વધારો થયો છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ અને રાવી ભયજનક સપાટીએ વહી રહી છે. જેના કારણે પંજાબમાં 37 વર્ષ પછી સૌથી ભયાનક પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના તમામ 23 જિલ્લામાં 1655થી વધુ ગામોના 3.55 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. અહીં સ્થિતિ એટલી ભયાનક છે કે, રસ્તા પર પાણીના ભારે પ્રવાહના કારણે અને ઠેકઠેકાણે પાણી ભરાવાના કારણે લોકો ધાબા પર આશરો લેવા માટે મજબૂર થયા છે. પહેલી ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગંભીર પરિસ્થિતિના કારણે સેના અને NDRFની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે.
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર છેલ્લા ચાર દિવસથી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. યમુના નજીકના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. મુખ્યમંત્રી કાર્યાલય, રાજઘાટ અને કશ્મીરી ગેટ જેવા વિસ્તારો સુધી પણ પાણી પહોંચી ગયા છે. સુરક્ષાના ભાગરૂપે 10,000થી વધુ લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતર કરવા પડ્યા છે.
બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરમાં ઝેલમ નદી પણ બેકાબૂ બની ગઈ છે. 2014માં શ્રીનગરમાં પૂર આવ્યું હતું, જેમાં 200 લોકોના મોત થયા હતા. ત્યારે ફરી એકવાર શ્રીનગર સહિત દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં પૂરનું સંકટ આવી ચઢ્યું છે.









