Rajkot: હર ઘર તિરંગા અભિયાન અન્વયે ચાલો જાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનાં નિયમો વિશે
તા.૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : દ્રષ્ટિ નથવાણી
Rajkot: સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના ગૌરવમય અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના તમામ નાગરિકોને આ મહા અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું છે. આપણો તિરંગો આપણું ગૌરવ છે ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણા રાષ્ટ્રધ્વજનો આદર જળવાય તેની જવાબદારી આપણા સૌની છે. તો ચાલો આજે વાત કરીએ રાષ્ટ્રધ્વજના કદ, તેને ફરકાવવાના સમય સહિતની બાબતો માટે અમલી ભારતીય ધ્વજ સંહિતા વિશે…
“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૪માં ઘર, દુકાન, ખાનગી કચેરી, સરકારી કચેરી, ઓફિસ, પેટ્રોલપંપ, હોટેલ, બસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, રેલવે સ્ટેશન, શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા સહિતના વિવિધ સ્થળોએ તિરંગા લગાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા-૨૦૦૨માં રાષ્ટ્રધ્વજ અંગે ચોક્કસ પ્રકારની સંહિતા ઘડવામાં આવી છે. રાષ્ટ્રધ્વજનું કદ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય, ક્ષતિગ્રસ્ત ધ્વજના નિકાલની વ્યવસ્થાના નિયમોનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે, કેન્દ્ર સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાનના સંદર્ભમાં રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટેના સમયના નિયમમાં વર્ષ ૨૦૨૨માં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ નિયમોમાં ફેરફાર થવાને કારણે હવે દેશના નાગરિકો જાહેર સ્થળોએ તથા ઘરમાં દિવસ અને રાતે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પૂર્વેના નિયમની વાત કરીએ તો રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવામાં આવતો હતો. ઉપરાંત રાષ્ટ્રીય ધ્વજને લંબચોરસ રાખવો ફરજિયાત છે. તેના કદનું ચોક્કસ પ્રમાણ જાળવવું પડે છે. લંબાઇ અને પહોળાઇનું પ્રમાણ ૩ અને ૨ના ગુણાંકમાં હોવું જોઈએ. ક્ષતિગ્રસ્ત એટલે કે ફાટેલો કે તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઇએ નહીં. ફાટી ગયેલો ધ્વજ તુરંત ઉતારી લેવો જોઇએ.
નિયમ મુજબ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે હાથશાળ, હાથવણાટ કે મશીન દ્વારા કોટન, પોલીએસ્ટર, ઉન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો રહે છે. આ નિયમમાં ૨૦૨૧માં સુધારા મુજબ મશીન દ્વારા નિર્મિત પોલીએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાય નહિ. કોઇપણ વસ્તુને વીટાંળી શકાતો નથી. નિયત કરાયેલા મહાનુભાવોની કારની આગળ જ રાષ્ટ્રધ્વજ લગાવી શકાય છે. તો ચાલો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખિત આ નિયમોને અનુસરી આન બાન અને શાન સાથે “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાઈએ.