બોરસદ તાલુકાના મહેસુલ વિભાગના કર્મચારીઓ માટે ૪૨ આવાસોનું નિર્માણ
**********
આણંદ, બુધવાર :: રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી ખાતાઓ-વિભાગોમાં સેવા આપતાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે અનેક હિતલક્ષી નિર્ણયો અમલી બનાવાયા છે. જેનો લાભ રાજ્યના લાખો અધિકારીઓ-કર્મચારીઓને મળી રહ્યો છે. આવા જ એક હિતલક્ષી નિર્ણયના ભાગરૂપે આણંદ જિલ્લામાં બોરસદ તાલુકાના મહેસૂલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ માટે રહેણાંક મકાનોની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે.
બોરસદ તાલુકામાં મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૧૪૨૬ લાખના ખર્ચે નવીન રહેણાંક મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ નવીન મકાનોનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ નવીન મકાનોમાં મહેસુલી વિભાગના કર્મચારીઓ માટે ૪૨ આવાસો અને પ્રાંત અધિકારી,મામલતદાર માટે ૦૩ બંગલોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી અધિકારી-કર્મચારીઓને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, બોરસદ પ્રાંત અધિકારીશ્રી જય બારોટ, કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ, બોરસદ તાલુકાના મામલતદારશ્રી તેમજ મહેસૂલ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતાં.