

સમીર પટેલ, ભરૂચ
પરિવાર અજમેર શરીફની મુલાકાત લઈને પાલઘર પરત ફરી રહ્યો હતો
અર્ટિગા આગળ રહેલી ટ્રકમાં ઘુસી જતા કૂચડો વળી ગઈ
અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘવાયા
અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર બાકરોલ બ્રિજ પાસે એક અર્ટિગા કાર આગળ રહેલી ટ્રકમાં ઘુસી જતા પરિવારના સાતમાંથી ત્રણ સભ્યોના કરૂણ મોત થયા હતા.
મુંબઈના પાલઘરનો પરિવાર 6 જાન્યુઆરીએ અજમેર શરીફ ઉર્સમાં ગયો હતો. ત્યાંથી મંગળવારે કારમાં મુંબઈ જવા રવાના થયો હતો.
દરમિયાન રાત્રિના 3 વાગ્યાના સુમારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતા ટ્રેક પર કારને અન્ય વાહને પાછળથી ટક્કર મારી હતી. બાકરોલ બ્રિજ પાસે એર્ટિગા આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. ભયાનક અકસ્માતને કારણે કારમાં સવાર 7 લોકો અંદર જ ફસાઈ ગયા.
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે એકત્ર થઈ ગઈ હતી. ક્રેનની મદદથી અકસ્માતમાં સેન્ડવીચ થયેલી કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં 32 વર્ષીય તાહિર શેખ, 23 વર્ષીય આર્યન ચોગલે અને 25 વર્ષીય મુદ્દાસરણ જાટનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે કારમાં સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને બહાર કાઢી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અકસ્માત અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



