વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
તનાવનું કારણ બાહ્ય પરિસ્થિતિઓ કરતા વધુ આપણી મનની સ્થિતિ પર છે.
મન મનુષ્યનું પરમ મિત્ર પણ છે અને શત્રુ પણ છે
મુન્દ્રા, તા.15 એપ્રિલ : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મુન્દ્રા સેવા કેન્દ્ર દ્વારા અદાણી સોલાર પ્લાન્ટમાં “તનાવ મુક્ત જીવન” વિષય પર વિશેષ કાર્યક્રમ યોજવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત પરમાત્માને યાદ કરીને કરવામાં આવેલ. ત્યારબાદ પ્લાન્ટ હેડ હિરેનભાઈ રાણા દ્વારા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયમાંથી પધારેલા મહાનુભાવોનું ફુલ માળા તેમજ સાલ ઓઢાડીને ભાવભર્યું સ્વાગત કર્યા બાદ ભુજ હેલ્થ વિભાગ સાથે સંકળાયેલા બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કરે પોતાના અનુભવો રજૂ કરીને જણાવ્યું કે રાજયોગ મેડીટેશન દ્વારા વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના મનને શાંત તેમજ તનાવ મુક્ત રાખી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે વર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં ભારતીય લોકોમાં વધુ તનાવ જોવા મળી રહ્યુ છે જે આપણા સૌ ના માટે ચિંતાનો વિષય છે.
રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલા દીદી પોતાની સરળ તેમજ પ્રભાવશાળી શૈલીમાં જણાવ્યું કે મહાન વિચારો જ આપણા ઉજવળ ભવિષ્યનો આધાર છે આપણા સંકલ્પો આપણા જીવનની બિલ્ડીંગનું નિર્માણ કરે છે. તનાવનું કારણ બાહ્ય પરિસ્થિતિઓ કરતા વધુ આપણી મનની સ્થિતિ પર છે ગીતામાં લખ્યું છે કે મન મનુષ્યનું પરમ મિત્ર પણ છે અને શત્રુ પણ છે યોગના અભ્યાસ દ્વારા આપણે સહેલાઈથી મનને મિત્ર બનાવી શકીએ છીએ. રાજ્યોગ મેડીટેશન દ્વારા આપણે પોતાની આંતરિક શક્તિઓને વધારી શકીએ છીએ તેમજ નાની મોટી પરિસ્થિતિમાં પોતાને તનાવ મુક્ત બનાવી શકીએ છીએ સકારાત્મક જીવન શૈલી દ્વારા જ આપણે લાંબુ ખુશનુમા તેમજ સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ સુશીલા દીદી રાજયોગ કોમેન્ટ્રી દ્વારા આનંદ તેમજ ગહન શાંતિની અનુભૂતિ કરાવી આસપાસના વાતાવરણમાં ખુશી તેમજ શાંતિના પ્રકંપન ફેલાવ્યા હતા.કંપનીના એચ. આર. મેનેજર અજીતભાઈ પાંડે પધારેલા સૌ મહેમાનોનું દિલથી આભાર વ્યક્ત કરી આવા પ્રેરણાદાયી પ્રોગ્રામોનું અવારનવાર આયોજન થાય એવી લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ બ્રહ્માકુમાર વિનોદભાઈએ સંગીત સાથે સુંદર વ્યાયામ કરાવ્યું અને અંતમાં સર્વ પધારેલા ભાઈઓ પ્રભુ પ્રસાદ તેમજ બ્લેસિંગ કાર્ડ આપવામાં આવ્યું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્માકુમાર અંકિતભાઈ, ફાઇનાન્સ હેડ રાજીવભાઈ, એચ. આર. મેનેજર અવિનાશભાઈ નાયક તેમજ સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા.