GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં આગામી દિવસોમાં હીટ વેવની સંભાવનાઓને જોતા હીટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે મહીસાગર તંત્ર દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. 

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લુ લાગવાથી બચીએ: તકેદારીના પગલાં ભરીએ

મહીસાગર જિલ્લામાં આગામી દિવસોમાં હીટ વેવની સંભાવનાઓને જોતા હીટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે મહીસાગર તંત્ર દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે.

લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું: રેડિયો સાંભળો,ટી.વી. જૂઓ, હવામાન અંગે ના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમ જ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ લેવી.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ,નારિયેળ પાણી

સહિતના પીણાનો ઉપયોગ કરવો. વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરવા. ઘરની બહાર હોય ત્યારે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપી થી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ મેળવી લેવી. બાળકો, વૃધ્ધો, બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લુના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી લેવી.

કામદાર અને નોકરીદાતા માટે કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુધ્ધ પાણી, છાશ, ઓ.આર.એસ,બરફના પેક પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતીને ટાળવી. સખત મહેનતનું કામ હોય તે તેને દિવસના ઠંડા સમયમાં ગોઠવવું. બહારની પ્રવ્રુતિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારવી. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમને હળવું તેમજ ઓછી અવધી માટેનું કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલેર્ટ વિશે માહિતગાર કરવા. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો. ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર લુ લાગવાની શક્યતા ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરો. ઢીલા કપડાં પહેરો અને વારંવાર ઠંડા પાણીથી સ્નાન કરો. કામકાજના સ્થળો કે રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો આને લીધે ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘટશે. સૂકાં પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળશો નહીં. પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરો અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા અપનાવો. ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો. ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઇ સદસ્યની મદદ મેળવી તબીબ પાસે જવું.

ઘરને શીતળ રાખવા માટેઃ

ઘરની દીવાલોને સફેદ રંગથી રંગો. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે કૂલ રુફ ટેકનોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો કૂલ ઇન્સુલેશનનો ઉપયોગ કરો. સૂકા ઘાસની ગંજી છત પર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનીયમ ફોઇલ કવર વાળા પૂંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે જ બારીઓ ખોલો. બને ત્યાં સુધી નીચેના માળ ઉપર રહો. લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ મકાનને કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાંથી બહર નીકળતી વધારાની ગરમીને ઓછી રાખે છે. એયર કંડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે તમારુ વીજળીનું બિલ ઓછું થશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ટેકનોલોજીનો ઉપયોગ કરો. જાડી દીવાલનું ચણતર કરો, જે ઘરને અંદરથી ઠંડુ રાખશે. નીચેથી જાળીદાર દીવાલ ચણતર કરો કે જે ગરમીને રોકશે અને વધુ હવાને પસાર થવા દેશે. દીવાલને રંગવા માટે ચૂનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો. બાંધકામ પૂર્વે મકાન બાંધકામના નિષ્ણાંતની સલાહ લો.

લુ લાગી હોય તેવી વ્યક્તિની સારવારઃ ભીના કપડાંનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત-તોરાની જેવું પ્રવાહી આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવા. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથાનો દુ:ખાવો અસહ્ય હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય ઊલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયા હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી લેવી જોઈએ.

આટલું ન કરો: બપોરના ૧૨ વાગ્યા થી ૦૩ વાગ્યા સુધી તડકામાં ન જવું. બપોરના સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. ઉઘાડા પગે બહાર ન જવું. આ સમયે રસોઇ ન કરો. રસોડામાં હવાની અવર જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખો. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા શરાબ, ચા, કોફી સોફ્ટ ડ્રીંક ન લેવા. પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજવો. પાર્ક્ડ વાહનોમાં પાળતું પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશની વાળા વીજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરુરના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઉપકરણને બંધ રાખો.

કૃષિ વિષયકઃ ઉભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરો. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. વિસ્તાર હીટ વેવ કે લુ ફૂંકાતા પવન વાળા વિસ્તારમાં આવતો હોય તો સ્પ્રિંકલરથી સિંચાઈ કરો.

પશુપાલન: પશુઓને છાયંડામાં રાખો અને તેમને શુધ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી કામ ના લેવું. આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાંસની ગંજીથી ઢાંકો. અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગથી રંગો, આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો કે ફોગર્સ લગાવો. બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છંટકાવ કરો. પશુને પાણીના હવાડા નજીક લઈ જવા. આહારમાં તેમને લીલો ચારો આપો, પ્રોટીન ચરબી વગરનો આહાર આપો. ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવવા લઈ જાઓ. મરઘા ઉછેર કેંદ્રમાં પડદા લગાવો અને હવાઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.

આટલું ન કરો: બપોરના સમયે પશુઓને ચરવા ન લઈ જાવ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!