તા.૨૮.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાહોદ જડબેસલાક બંધ રહ્યું
પહેલગામની આતંકી ઘટનાના વિરોધમાં દાહોદ બંધના આપવામાં આવેલા એલાનના પગલે દાહોદ સજ્જડ બંધ રહ્યું હતું આતંકવાદી ઘટનાના વિરોધમાં દાહોદના તમામ બજારો તેમજ અનાજ માર્કેટની સાથે સાથે રોડની ફૂટપાથ પર બેસી ધંધો કરતા ગરીબ પથારા વાળાઓ પણ બંધમાં જોડાઈ બંધને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો. પહેલગામની આતંકવાદી ઘટનાના વિરોધમાં આમ તો દાહોદ શહેરમાં આક્રોશ રેલી, કેન્ડલ માર્ચ, શ્રદ્ધાંજલિ તેમજ આતંકવાદ તથા પાકિસ્તાનના પૂતળાના દહનના કાર્યક્રમો તેમજ આવેદનપત્ર આપવાના કાર્યક્રમ યોજી આતંકવાદી હુમલા સામે નગરજનોએ રોષ પ્રગટ કર્યો હતો. ત્યારે મુસ્લિમ સમાજે પણ કસ્બા પટડી ચોક ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ૨૭ જેટલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આતંકવાદી પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જ્યારે આજરોજ અપાયેલા દાહોદ બંધના એલાનના પગલે દાહોદ શહેર શાંતિપૂર્ણ રીતે જડબેસલાક બંધ રહ્યું હતું