
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં શિવારીમાળ સ્થિત આવેલ વૈદેહી સંસ્કાર ધામ ખાતે પૂ.યશોદાદીદીનાં સાનિધ્યમાં માતા-પિતા વગરની અનેક દીકરીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી છે.વર્ષોથી અનેક બાળકીઓની “માતા-પિતા”ની ફરજ અદા કરી પૂ.યશોદાદીદી સંસ્કારની સાથે સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.ત્યારે ગતરોજ વૈદેહી સંસ્કારધામ શિવારીમાળ ખાતે સેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ દરમિયાન બાળકીઓને રસપૂરી, ઢોકળા, શાક, દાળ-ભાત સહિતની પૌષ્ટિક વાનગીઓથી ભોજન કરાવવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે મિસ્ત્રી પરિવારે “સેવામાં જ સાચ્ચુ સુખ”નો સંદેશ આપતા સેવાકીય કાર્ય દ્વારા પુણ્યનું ભાતુ બાંધ્યુ હતુ.આ કાર્યક્રમમાં તેમના મિત્ર ભાવિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.ભાવિનભાઈ પટેલ સમાજસેવામાં હંમેશા આગળ રહેતા જોવા મળે છે અને તેમના દ્વારા ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને ભંડારો, વસ્ત્રદાન તેમજ અનાજ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરવામાં આવતી રહે છે.આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પૂજ્ય સાધ્વી યશોદાદીદી તથા ગુરુ સત્યવાન ગુરુજીએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની માનવતા અને સહાનુભૂતિના મૂલ્યોને મજબૂત બનાવે છે.આ પ્રસંગે દાતા ભાવિનભાઈ પટેલે સંસ્થાને ભવિષ્યમાં પણ વધુ સહાય અને સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.





