સ્પા-કૂટણખાનામાંથી પકડાયેલા ગ્રાહક સામે કેસ ન કરી શકાય : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે સ્પા અને કૂટણખાના (વેશ્યાગૃહ) પર થતા પોલીસ દરોડા મામલે એક અત્યંત મહત્વનો અને મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવા સ્થળો પરથી પકડાયેલા ગ્રાહક સામે માત્ર તેની હાજરીના આધારે ગુનાહિત કેસ ચલાવી શકાય નહીં.
હાઈકોર્ટે નોંધ્યું કે સ્પા કે કૂટણખાનામાં ગયેલો ગ્રાહક માત્ર ત્યાં નાણાં ચૂકવીને પોતાના અંગત સંતોષ માટે સેવા લેવા જાય છે. ગ્રાહક વેશ્યાવૃત્તિના વ્યવસાયમાંથી કોઈ કમાણી કરતો નથી કે તે જગ્યાના સંચાલન કે માલિકી સાથે જોડાયેલો હોતો નથી. ગ્રાહક તરીકે અટકાયત કરેલા અરજદારે કોર્ટમાં કરી ક્વોશિંગ પિટિશન હતી જેની પર સુનાવણી કરતા હાઈકોર્ટે આવો ચુકાદો જાહેર કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આવી જ એક FIR, પોલીસ ચાર્જશીટ અને નીચલી કોર્ટમાં ચાલતી ફોજદારી કાર્યવાહીને કાયદાકીય રીતે અયોગ્ય ગણાવીને સંપૂર્ણપણે રદ કરવાનો હુકમ કર્યો છે.
ભારતીય કાયદા મુજબ, વેશ્યાગૃહ ચલાવવું, તેનાથી કમાણી કરવી અથવા કોઈ યુવતીને આ ધંધામાં બળજબરીથી ધકેલવી એ ગુનો છે.પરંતુ, આ કાયદો મુખ્યત્વે દલાલો, સંચાલકો અને માલિકોને સજા આપવા માટે છે, નહીં કે ત્યાં માત્ર ગ્રાહક તરીકે જનાર વ્યક્તિનો કોઈ ગુનો બનતો નથી.




