ભરૂચમાં ૧૮ વર્ષથી નાના અનાથ બાળકોને આશ્રય આપતી સંસ્થાઓએ ફરજિયાત માન્યતા મેળવવી પડશે
જુવેનાઇલ જસ્ટીસ એકટ મુજબ માન્યતા ન મેળવેલ સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
***
ભરૂચ- બુધવાર- જુવેનાઇલ જસ્ટીસ એકટ – ૨૦૧૫ ની કલમ – ૨ (૧૪) મુજબ કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો
જેવા કે અનાથ, ત્યજાયેલ,નિરાધાર,ગુમ થયેલ કે મળી આવેલ, ભિક્ષાવૃત્તિ કરતા, રસ્તા પર રહેતા, શોષિત, કુદરતી આપત્તિનો ભોગ
બનેલ બાળ મજુર વગેરે બાળકોને રહેણાંકીય સુવિધા પૂરી પાડતી હોય તેવી સંસ્થાઓએ જુવેનાઇલ જસ્ટીસ એકટ – ૨૦૧૫ ની
કલમ – ૪૧ (૧) મુજબ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું થાય છે. જેનું અરજી ફોર્મ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની
વેબસાઇટ ww.esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઇન કરી શકાય છે. જો કોઇ સંસ્થાએ રજીસ્ટ્રેશન ન કરાવેલ
હોય અને ઉપરોક્ત મુજબના બાળકોને આશ્રય આપતું ધ્યાને આવશે તો સંસ્થા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એકટ – ૨૦૧૫ ની
કલમ – ૪૨ મુજબ ૧ વર્ષ સુધીની સજા અથવા એક લાખથી ઓછી નહિ તેવી રકમના દંડની સજા અથવા બન્ને સજા પાત્ર છે. વધુમાં
જો સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન માટે અરજી નહિ કરેલ હોય તો અલગથી સજાની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે જેની નોંધ
લેવી.
વધુ વિગતો માટે, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ભરૂચ, બી-વિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, જુની કલેક્ટર કચેરી, કણબીવગા,ભરૂચ –
૩૯૨૦૦૧ અને ફોન નં ૦૨૬૪૨-૨૫૦૩૧૫ નો સંપર્ક કરવા તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ
ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.