હાજીપીર-કરોલપીરના ઉર્ષમાં શંકાસ્પદ વસ્તુઓ લઇ જવા પર મનાઇ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-21 એપ્રિલ : આગામી તા.૨૬/૦૪/૨૦૨૫થી તા.૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા આમારા ગામ નજીક કરોલપીરનો મેળો (ઉર્ષ) યોજાનાર છે. આ મેળા દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં લોકો દર વર્ષે દશનાર્થે આવે છે જેના કારણે પરિસરમાં ખૂબ જ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્યનાં ધાર્મિક સ્થાનોની સુરક્ષા નજરે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુથી આ ધાર્મિક સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી છે. શ્રી આનંદ પટેલ , જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭(૧) અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવેલ છે કે તા.૨૪/૦૪/૨૦૨૫ના વહેલી સવારે ૬ કલાકથી તા.૨૯/૦૪/૨૦૨૫ના રાત્રિના ૨૪ કલાક સુધી હાજીપીર ખાતે આવેલી હાજીપીર દરગાહના સંકુલમાં તેમજ આમારા ગામ પાસે આવેલા કરોલપીરના પરીસરમાં પ્રસાદની વસ્તુ જેવી કે શ્રીફળ વિગેરે DFMD/HHMD/વ્યુઅર મશીનથી ફરજ પરના પોલીસ કર્મચારીઓ ચેક કરી શકશે અને વાંધાજનક કે શંકાશીલ જણાશે તો લઇ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં.આ હુકમ સરકારી નોકરી પર કામ કરતી વ્યક્તિ એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા વસ્તુ લઇ જવાની ફરજ હોય અથવા અધિકૃત કરેલા કોઇપણ પોલીસ અધિકારીએ જેને અધિકૃત કરેલ હોય અને તે લઇ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓ, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, પોલીસ અધિકારીશ્રી અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્યક્તિ પર લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામા ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક (૧) વર્ષ કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ દંડની સજા થશે.