વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૪ જુલાઈ : ચોમાસાની ઋતુમાં ઠેર-ઠેર પાણીની સમસ્યા અને ભેજવાળા વાતાવરણના લીધે મચ્છર ઉત્પતિ માટે સાનુકૂળ વાતાવરણ બને છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઉત્પતિ અટકાવવા અગમચેતીના ભાગરૂપે દર વર્ષે જૂન માસ “મેલેરિયા વિરોધી માસ” અને જુલાઈ માસ “ડેન્ગ્યુ વિરોધી માસ” તરીકે ઉજવવામાં આવે છે.
કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જૂન માસમાં મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેમાં આરોગ્ય વિભાગની ૫૮૯ ટીમે ૩,૩૬,૧૨૬ ઘરની મુલાકાત લીધી હતી. જેમાં ૨૫,૦૭,૩૮૮ જેટલા પાત્રો તપાસી મચ્છર ઉત્પતિનો નાશ કર્યો હતો.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયા ફેલાવતા મચ્છર ખુલ્લા અને બંધિયાર સ્વચ્છ પાણીમાં ઇંડા મૂકે છે. તેથી આ બાબતને ટાળવાં ઘરમાં અને ઘરની આસપાસ પાણી ભરાઈ નહીં તેની કાળજી લઈએ અને પાણી સંગ્રહના તમામ પાત્રોને હવાચૂસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ તેમજ અગાસી, છત, ફળિયામાં પડેલા જૂના ટાયર, તૂટેલા-ફૂટેલા વાસણ, પક્ષી-પશુના પાણી માટે રાખવામાં આવેલ પાત્રોમાં પાણી ભરાઈ ન રહે તેની ચકાસણી નિયમિત કરતા રહીએ. આ પ્રકારની જગ્યાને અઠવાડિક એકવાર તપાસી અને યોગ્ય નિકાલ કરી સ્વચ્છતા રાખીએ તો મચ્છર ઉત્પતિનું જોખમ ઘટાડી શકાય છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી એ લોકોને અપીલ કરી છે કે, મચ્છરદાનીનો ઉપયોગ કરીએ. મચ્છરોને ઘરમાં પ્રવેશતા અટકાવવા મચ્છર જાળીનો ઉપયોગ કરી શકાય. મચ્છર વિરોધી અગરબતી કે રિપેલન્ટ ખૂબ જ અસરકારક હોય છે. બારી-દરવાજા પર મચ્છરજાળી લગાવીએ, વહેલી સવારે અને સાંજે ઘરના તમામ બારી દરવાજા બંધ રાખીએ. મચ્છરના ડંખથી બચી શકાય તે માટે શરીર પૂર્ણ રીતે ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ.