સમીર પટેલ, ભરૂચ
આજે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ.ઔદ્યોગિક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષાના મામલે હજી છીંડા જોવા મળી રહયાં છે. ઉદ્યોગો માટે કામદારોના જીવના કોઇ કિમંત ન હોય તેમ લાગી રહયું છે. હાલમાં અંકલેશ્વરની ડેટોકસ કંપનીમાં વેલ્ડિંગ દરમિયાન ધડાકો થતાં 4 કામદારના જીવ ગયાં હતાં. તેવી જ રીતે દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થવાથી ચાર કર્મચારીઓના જીવનદીપ બુઝાઇ ગયાં હતાં. કંપનીઓમાં છાશવારે ધડાકા તથા ગેસ લીકેજના બનાવો બની રહયાં હોવા છતાં કર્મચારીઓની સુરક્ષા સંદર્ભે અસરકારક પગલાંનો અભાવ જોવા મળી રહયો છે.
2024માં 15 અકસ્માતમાં 21 કામદારોએ જીવ ગુમાવી દીધાં હતાં. તંત્રએ 42 કંપનીઓ સામે 152 કેસ પણ કર્યા છે. અસરગ્રસ્ત પરિવારોને 4.79 કરોડથી વધુના વળતરની ચૂકવણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં રોજબરોજ નવા ઉદ્યોગો આવી રહયાં છે. ખાસ કરીને દહેજ, વાગરા, સાયખા, વિલાયત અને ઝઘડિયા જીઆઇડીસી ઝડપથી વિકાસ પામી રહી છે.
સાયખા જીઆઇડીસીમાં સૌથી વધુ જોખમી ઉદ્યોગોના પ્લાન્ટ ધમધમી રહયાં છે. વાગરા તાલુકામાં જ 2,000 કરતાં વધારે કંપનીઓ આવેલી છે. કંપનીઓમાં થતાં ઔદ્યોગિક અકસ્માતોના મામલામાં કંપનીઓ માટે કામદારોના જીવનું કોઇ મુલ્ય નહિ હોવાનું પ્રતિત થાય છે. બીજી તરફ આવા બનાવોમાં કંપનીઓને પણ કલોઝર નોટિસ સિવાય ઉડીને આંખે વળગે તેવી કાર્યવાહી તંત્ર કરતું નથી.
2024માં 15 જેટલા ગંભીર ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત સર્જાયા હતા. જેમાં 21 કામદારોના મોત નિપજ્યા છે. જે કામદારો ને સરકારી નિયમ અનુસાર કે ધારાધોરણ મુજબ 1.03 કરોડ રૂપિયા વળતર કંપની માંથી શ્રમયોગી ને અપાવ્યું હતું જે ઉપરાંત પણ ઘટનાની ગંભીરતા અને કામદારો ના પરિવાર ને યોગ્ય વળતર મળે તે માટે ડીશ તરફથી ચાલુ વર્ષે ત્રણ ઘણું વધુ એટલે 3.76 કરોડ રૂપિયા નું વધુ વળતર પરિવાર ને અપાવતાં કુલ 4.79 કરોડનું વળતર અપાયું છે.