જંબુસર પંથકમાં વરસાદ ખેંચાતાં ધરતીપુત્રોનાં જીવ પડીકે બંધાયા. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સેવાઈ રહેલી ભીતિ.
જંબુસર તાલુકામાં ચાલુ સાલે ચોમાસાની ઋતુમાં સતત એક માસ સુધી વરસાદ પડ્યો હતો. જોકે ખેડૂતોએ મહા મહેનતે ખેતરોની સાફ-સફાઈ કરી ખરીફ ( ચોમાસુ ) પાકોનો ઉછેર કર્યો છે. પરંતુ આ વર્ષે ઓગસ્ટ માસમાં બિલકુલ વરસાદ ન થતાં તૈયાર થયેલ પિયત અને બિન પિયત કપાસનાં છોડમાં હવે ફલીકરણ અને ઝીંડવા તૈયાર થઈ રહ્યા છે ત્યારે કપાસના છોડને જમીનમાંથી ભેજ ઓછો થતાં પાણીની જરૂર હોય જેથી વરસાદે હાથતાળી આપતાં જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે.
પિયત કપાસ – ૧૭૩૦૦ હેક્ટર
બિન પિયત કપાસ – ૧૪૮૦૦ હેક્ટર
તુવેર – ૧૩૩૦૦ હેક્ટર
દિવેલા – ૬૮૦ હેક્ટર
શાકભાજી – ૬૧૦ હેક્ટર
ઘાસચારો – ૧૮૧૦ હેક્ટર
———————————————
૪૮૫૦૦ કુલ હેક્ટર
જમીનમાં ચોમાસુ પાકનું વાવેતર થયેલ છે. આ વર્ષે તાલુકામાં ખરીફ પાકની સારી એવી ખેતી જોવાઈ રહી છે પરંતુ હાલમાં છેલ્લા એક માસથી વરસાદ ન પડતાં કૃષિમાં પાણીની જરૂર ઊભી થઈ છે. પવન અને ગરમી ના કારણે ભેજ ઓછો થતાં બપોરના સમયે છોડ બપોરિયા લઈ રહ્યા છે. મઘા નક્ષત્ર હજુ સુધી વરસ્યું નથી. ખેડૂતોએ રાત દિવસ એક કરી તાપ -તડકો ન જોઈ પાણીની જગ્યાએ પોતાનો પરસેવો રેડી ખરીફ પાક તૈયાર કર્યો છે .સાથે – સાથે મોંઘા ભાવના બિયારણો , જંતુનાશક દવાઓ અને મજૂરી સાથે વધુ નાણાંનો ખર્ચ કરી બે પાંદડે થવાની આશામાં આ ખર્ચ કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક કુદરતી આપત્તિ આવતી જાય છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે . જેથી બાર સાધે અને તેર તૂટે તેવી ખેડૂતોની સ્થિતિ થઈ છે. ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈને બેઠા છે. અંતે એટલું જ કહેવું પડે છે કે ……
વેરણ બન્યો વાયરો ઘૂઘવે સાગર ઘાટ ,
સાચવજે મારા શામળા
તારું ગોકુળિયું ગુજરાત .
” જંબુસર તાલુકામાં ૪૮૫૦૦ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકનું વાવેતર તૈયાર થયેલ છે , પરંતુ વરસાદ ન થતાં અને ભેજ નો સંગ્રહ ઓછો થતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે. કૃષિક્ષેત્ર પર નભનારા શ્રમજીવી વર્ગને રોજગારી ન મળતા ચિંતામાં ગરક. “