વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : આજરોજ તારીખ ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના વડપણ હેઠળ જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યારે મેદસ્વિતામાંથી મુક્ત બનવા માટેની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત સરકારી કચેરીઓ, વિભાગો, અધિકારીગણ, કર્મચારીગણ સહિત અબાલ વૃદ્ધ તમામ નાગરિકો તેઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને, સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાતનું સ્વપ્ન સાકાર કરે તે માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સન્ડે ઓન સાયકલ આ કાર્યક્રમ થકી નાગરિકો સાયકલ ચલાવવા પ્રત્યે ઉત્સાહ દાખવે તેવો ઉમદા હેતુ રહેલો છે. આજરોજ જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી દામોદર કુંડ સુધી સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રીશ્રી સાથે અનેક લોકો જોડાયા હતા. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશનો દરેક નાગરિક સ્વસ્થ હોય તે ખૂબ આવશ્યક છે. જે માટે સન્ડે ઓન સાયકલ મુહિમ ચલાવવામાં આવી રહી છે. પ્રત્યેક નાગરિક રવિવારના રોજ એક કલાક સાયકલ ચલાવે જેનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરશે. આ મુહિમમાં આબાલવૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ બનશે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આકાશ કટારા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જાડેજા, નાયબ કલેકટર ચરણસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારી ભૂષણ કુમાર યાદવ, વિવિધ કચેરીના કર્મયોગીઓ અને બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.