Jasdan: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આધિયા નાની સિંચાઈ યોજનાની કેનાલના રૂ. ૩૪૭.૦૬ લાખના ખર્ચે થનારા રીનોવેશનનો શુભારંભ

તા.૨૪/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત સરકાર અંતરિયાળ ગામોનો વિકાસ કરવા પ્રયાસશીલ છે : મંત્રીશ્રી બાવળીયા
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આધિયા ગામ ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આધિયા નાની સિંચાઈ યોજનાની કેનાલના રૂ. ૩૪૭.૦૬ લાખના ખર્ચે થનારા રીનોવેશનનો શુભારંભ કરાયો હતો. રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અહીં કેનાલ નેટવર્કમાં આવતા તમામ સાઈફન વેલ, રોડ ક્રોસિંગનું રીનોવેશન અને તમામ કેનાલને ૭.૫ સે.મી. આર.સી.સી.થી પાકી કરવાનું આયોજન છે.


કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આધિયા નાની સિંચાઈ યોજનાની કેનાલનું રીસ્ટોરેશન પૂર્ણ થવાથી ઉનાળામાં ખેતીની જમીનમાં સિંચાઈ કરી શકાશે અને પાણીનો બગાડ અટકશે. ભવિષ્યમાં ઉનાળા માટે પાણીનો સંગ્રહ થઈ શકે, તે માટે આધિયા નાની સિંચાઈ યોજનાને સૌની યોજનાની લિંક – ૪ સાથે જોડવામાં આવશે. જસદણ અને વીંછિયા તાલુકામાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સિંચાઈ, વીજળી સહિતની પ્રાથમિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. જસદણ-વીંછિયા પંથકમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને હજુ ઘણાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે અને ભવિષ્યમાં પણ વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી મળશે. આમ, ગુજરાત સરકાર અંતરિયાળ ગામોનો વિકાસ કરવા પ્રયાસશીલ છે.


આ કાર્યક્રમમાં મંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. તેમજ સેક્શન અધિકારીશ્રી ડેનિશભાઈ ઘાડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ યોજના થકી ભાડલા, ભંડારીયા અને વીરપર એમ કુલ ૦૩ ગામોની અંદાજિત ૪૪૪ હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનો સીધો લાભ મળે છે. આ તકે તાલુકા પંચાયત સદસ્યશ્રી ગોકળભાઈ સોલંકી, નાયબ મામલતદારશ્રી મનસુખભાઈ સોરાણી સહિત ગામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.




