
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – કમોસમી વરસાદ સાથે મીની વાવાઝોડું : રાજપુર ગામે શેડ અને મકાનોને નુકસાન, ગ્રામજનો અંધકારમાં
અરવલ્લી જિલ્લામાં સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે શુક્રવાર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ધનસુરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. સાથે જ તેજ પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાતા ધનસુરા તાલુકાના રાજપુર (વડાગામ) ગામમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભારે પવનના કારણે પશુપાલકોના તબેલા શેડના પતરા ઉડી ગયા હતા તેમજ કેટલાક મકાનોને પણ નુકસાન થયું હતું. ઉપરાંત ગામના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજળીના થાંભલા તૂટી પડતા ૧૧ કેવીની હાઈ વોલ્ટેજ લાઈનો પણ તૂટી ગઈ હતી. જેના કારણે ગામમાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોએ આખી રાત અંધકારમાં પસાર કરવી પડી હતી.મીની વાવાઝોડાના કારણે કોકિલાબેન ઉમેશભાઈ પટેલ, લક્ષ્મણભાઈ કોટવાર અને દશરથભાઈ નાઈ સહિતના પશુપાલકોના શેડને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તેમજ સ્કૂલ વિસ્તાર અને મંદિર આસપાસના વિસ્તારમાં પણ નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ છે.ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનનો અંદાજ લઈ સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.




