GUJARATKUTCHMANDAVI

કાશ્મીર ગયેલા કચ્છના પ્રવાસી ગ્રુપનો શ્રીનગરથી આંખે દેખ્યો કંપાવી દેનારો અહેવાલ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-25 એપ્રિલ : કાશ્મીરના પહેલગામમાં આવેલું બૈસરન મેદાન ખરેખર એક અતિ સુંદર સ્થળ છે દૂર દૂર સુધી મેદાનમાં ફેલાયેલું લીલું ઘાસ નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે એમાંય મેદાનની આજુબાજુ ઉંચા અને ઘટાદાર પાઇના વૃક્ષો તેની શોભામાં અભિવૃદ્ધિ કરે છે જેના કારણે લોકો તેને “મીની સ્વિટઝરલેન્ડ” તરીકે પણ ઓળખે છે. બરફથી ઢંકાયેલા પહાડોની પૃષ્ઠભૂમિ આ મેદાનની સુંદરતામાં વધારો કરે છે.શહેરી જીવનની ધમાલથી દૂર શાંતિ અને તાજગીનો અનુભવ કરવા માટે કચ્છથી કાશ્મીર ગયેલું પ્રવાસીઓનું ગ્રુપ પહેલગામના બૈસરન મેદાનમાં આંતકવાદી હુમલો થયો ત્યારે ત્યાં જ હાજર હતું અને એનો દિલધડક કંપાવનારો આંખેદેખ્યો અહેવાલ શ્રીનગરથી કાજલબેન જગદીશકુમાર ઠક્કરએ વર્ણવ્યો છે.22મી એપ્રિલ 2025ના સવારે 10 વાગ્યે શ્રીનગરથી ઘોડા ઉપર નીકળીને અમારું ગ્રુપ લગભગ 11 વાગે બૈસરન મેદાન પહોંચી ગયું હતું. લાંબી પ્રતીક્ષા પછી કાશ્મીરના કુદરતી સૌંદર્યને આત્મસાત કરવાનું સદભાગ્ય સાંપડ્યું હોય એવી રીતે અમે લોકો કુદરતી સૌંદર્યના ખજાનાને આંખોના કેમેરામાં કેદ કરી રહ્યા હતા. બપોર બાદ ઝીપલાઈન રાઈડ કરી સ્થાનિક ફોટોગ્રાફર પાસેથી બનાવેલ રીલ અને ફોટાઓ અમારા મોબાઇલમાં લઈ રહ્યા હતા ત્યારે અચાનક અમારી સાથે આવેલા ઘોડાવાળા ભાઈએ બહુ સમય થઈ ગયાનું બહાનું કરીને અમારી સાથે રીતસરનો ઝઘડો જ કરી નાખ્યો. અમે લોકોએ જણાવ્યું કે અમે બહુ દૂર કચ્છથી પહેલી વખત ફરવા આવ્યા છીએ અને વારંવાર કાશ્મીર આવવાના નથી આમ છતાં એની જીદને લીધે ના છૂટકે અમારે પરત ફરવા મજબૂર થવું પડ્યું જે કદાચ કુદરતનું અમારા માટે શુભ સંકેત હોઈ શકે. કેમ કે માત્ર ૨૦૦ મીટર નીચે ઉતર્યા હશું કે અચાનક ગોળીઓના અવાજો સંભળાવવા લાગ્યા અને ભાગો ભાગોની બૂમો સાથે લોકો નીચેની તરફ દોડવા લાગ્યા. જે લોકો આ જગ્યાએ પ્રવાસ કરી ચુક્યા હશે એમને ખબર હશે કે પરત ફરતી વખતે બંને બાજુ ઊંડી ખાઈઓ આવેલી છે જે રસ્તા પર ચાલવું એટલે કે મોતની ધાર પર ચાલવા જેવું છે જો જરાક પણ બેલેન્સ ગુમાવ્યું તો સીધા નીચે ખાઈમાં પડાય. એવામાં ઉપરથી નરાધમોએ અંધાધૂન ગોળીબાર શરૂ કરી દેતા રસ્તા ઉપર ભાગદોડ મચી ગઈ અને ઘોડાઓ એકબીજામાં અથડાવા લાગ્યા જેમાં મારા ઘોડાએ પણ બેલેન્સ ગુમાવ્યું અને પડી ગયો પરંતુ મારા સદનશીબે હું એક મોટા પથરા ઉપર પડી. આગળ કંઈ વિચારું એ પહેલાં જ ઘોડાવાળા ભાઈએ મારો હાથ પકડીને રીતસર ભાગવાનું જ શરૂ કરી દીધું. જેમ તેમ કરીને અમે લોકો લગભગ ત્રણેય કિલોમીટર નીચે તરફ ઉતર્યા પરંતુ ત્યાં પણ પરિસ્થિતિ સારી ન હતી. ચારે તરફ અફરાતફરીનો માહોલ હતો. અમે જીવ બચાવવા માટે શ્રીનગર તરફ ગાડી દોડાવી મૂકી.

માત્ર એક કલાક પહેલા જ ધરતી પરના સ્વર્ગ ઉપર અનુભવેલી આનંદની લાગણીઓ અચાનક ડર અને આક્રોશમાં ફેરવાઈ ગઈ.બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પ્રવાસીઓ બૈસરન મેદાનની કુદરતી સુંદરતાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક જંગલમાંથી આવેલા પાંચેક જેટલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર શરૂ કરી દેતા નાસભાગ મચી જવા પામી હતી. આ હુમલામાં 26 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર સાંભળીને ત્રણ દિવસ થઈ ગયા છતાં હજુ એ દ્રશ્યો આંખ સામેથી હટવાનું નામ લેતા નથી. આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને લોકો પણ આ હુમલાની સખત નિંદા કરી રહ્યા છે ત્યારે ગુજરાત સહીત કાશ્મીર જેવા પ્રવાસન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવે એવી માંગ પ્રવાસીઓએ કરી છે.

ભવિષ્યમાં ક્યારેય આવી દુઃખદ ઘટના ન બનવા પામે એવી લાગણી કાજલબેન અને એમના ગ્રુપે વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!