વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.
ભુજ તા – 28 માર્ચ : કચ્છ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદોનું સી-વિજિલ દ્વારા ૧૦૦ મિનિટોમાં થતું નિવારણ.
મોબાઈલ એપ્લિકેશન, ટોલ ફ્રી નંબર, હેલ્પલાઇન નંબર અને વેબપોર્ટલના માધ્યમથી તા.૧૬ થી ૨૮ માર્ચ દરમિયાન કચ્છમાં કુલ ૨૪૯ ફરિયાદ નોંધાઇ : ૨૪૮ ફરીયાદ પર કાર્યવાહી કરીને ઉકેલ કરાયો.
ફરિયાદો નોંધાવવા માટે ૨૪ કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૩૮૯.
દેશભરમાં આયોજિત થનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચના દિશાનિર્દેશ અનુસાર કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. જેને અનુસંધાને લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ, કચ્છ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાના નેતૃત્વમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ થઈ રહ્યો છે. આ સાથે આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તેમજ તેનો ગણતરીની મિનિટોમાં જ ઉકેલ લાવી શકાય તે માટે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સૂચના મુજબ, કલેક્ટર કચેરી ખાતે સી-વિજિલ (સિટિઝન વિજિલન્સ) ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૩૮૯ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજિલ મોબાઈલ એપ, ૧૯૫૦ હેલ્પલાઇન તથા વેબપોર્ટલ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબ આ ફરિયાદનું માત્ર ગણતરીની મિનિટોમાં જ નિરાકરણ કરવામાં આવે છે.આ ટોલ ફ્રી નંબર તથા મોબાઈલ એપ ૨૪ કલાક ચાલુ રહે છે અને કોઈપણ નાગરિક ૨૪ કલાકમાં ગમે ત્યારે આચારસંહિતા ભંગને લગતા કોઈપણ કિસ્સાની ફરિયાદો તેના પર નોંધાવી શકે છે. આ માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં કાર્યરત સી-વિજિલ કંટ્રોલરૂમમાં વિવિધ સ્ટાફ ૨૪ કલાક ફરજ બજાવે છે. આ તમામ કામગીરી પર નજર રાખવા નોડલ અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
૧૬મી માર્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી ત્યારથી જ જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. કેવી રીતે આવે છે ફરિયાદનું નિવારણ ? એ જાણવું રસપ્રદ રહેશે. જ્યારે કોઈ નાગરિક ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરે ત્યારે તેની વિગતો નોંધી લેવામાં આવે છે. એ પછી ફોન પરનો કર્મચારી સંબંધિત વિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડને આ ફરિયાદની વિગતો તાત્કાલિક મોકલી દે છે અને સ્ક્વોડની ટીમ તેના પર કાર્યવાહી કરે છે તથા ફરિયાદ નિકાલનો રીપોર્ટ આપે છે. જે રીપોર્ટ કંટ્રોલરૂમમાં નોંધવામાં આવે છે.
નાગરિકો આચારસંહિતા ભંગની ફરિયાદ સી-વિજિલ મોબાઈલ એપ પર પણ નોંધાવી શકે છે. આ ફરિયાદ ફોટો, વીડિયો કે ઓડિયો એમ કોઈપણ સ્વરૂપે નોંધાવી શકાય છે. કચ્છ જિલ્લામાં સી-વિજિલની અત્યારસુધીમાં ૨૩ ફરિયાદો આવી છે, જેનું તત્કાલ નિવારણ કરી દેવામાં આવ્યું છે. જયારે ૧૯૫૦ હેલ્પલાઇન પર ૭૮ ફરીયાદો આવી છે જે તમામનો નિકાલ કરાયો છે. જયારે ngsp(નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ)માં ૧૪૩ ફરીયાદો આવી છે તે તમામનો નિકાલ કરાયો છે. જયારે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૩૮૯ પર અત્યાર સુધીમાં ૫ ફરિયાદો આવી છે, જેમાંથી ૪ નો નિકાલ કરાયો છે. આમ, અત્યારસુધી કચ્છ જિલ્લામાં વિવિધ માધ્યમો થકી કુલ ૨૪૯ ફરીયાદો આવી હતી. જેમાંથી ૨૪૮નો નિકાલ કરી દેવાયો છે.
ફરિયાદીનું નામ ગોપનીય રાખવામાં આવે છે.આ એપ્લિકેશન મારફત ફરિયાદ કરનાર નાગરિકોનું નામ અને સરનામું સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ચૂંટણી આયોગે ફરિયાદીની સુરક્ષાને લઈને આ નિર્ણય લીધો છે. ફરિયાદી વિશેની વિગતો જાહેર થાય તો સંબંધિત અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી કરવા અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલી સમય મર્યાદા મુજબ સી-વિજીલમાં જે પણ ફરિયાદ મળશે તેને જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમને મોકલવામાં આવશે. ત્યાંથી સંબંધિત ટીમને ફરિયાદ કરવામાં આવશે, પછી તે સંદર્ભે જરૂરી કાર્યવાહી કરી યોગ્ય જવાબ એપ્લિકેશનમાં અપલોડ કરી ફરિયાદનું નિવારણ કરવામાં આવશે.