
વિજાપુરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નિઃશુલ્ક સમર યોગ કેમ્પ શરૂ
100થી વધુ બાળકો જોડાયા, યોગ સાથે સંસ્કાર અને આરોગ્યનો સંદેશ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ 7 થી 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. 16 મેથી 30 મે સુધી ચાલનારો આ કેમ્પ આશ સેકન્ડરી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે. કેમ્પનો શુભ પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
યોગ કેમ્પમાં પ્રથમ જ દિવસે 100થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં આશરે 225 જેટલા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.
કેમ્પના પ્રારંભ પ્રસંગે આશ સેકન્ડરી સ્કૂલના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, સામવેદ ગ્રુપના બિલ્ડર જીલ્લા સદસ્ય જીગ્નેશ ભાઈ પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ, ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચ બાબુભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના કેન્દ્રીય પ્રતિનિધિ રમેશભાઈ પટેલ, ગાયત્રી પરિવારના જગદીશભાઈ પંચાલ તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીના માર્ગદર્શન હેઠળ તાલુકાના યોગકોચ અને યોગ શિક્ષક દીપીકાબેન તથા તેમની ટીમ દ્વારા કેમ્પનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. યોગ ટ્રેનર સ્વાતિબેન, મનિષાબેન, શ્વેતાબેન, નયનાબેન, સરિતાબેન, અમિતભાઈ, ધવલભાઈ, જેન્તીભાઈ અને રીટાબેન દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કેમ્પમાં માત્ર યોગ શિક્ષણ જ નહીં પરંતુ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેમજ તેઓ ઘરે પણ નિયમિત યોગ કરી શકે તે માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. સાથે સાથે વિવિધ રમતો દ્વારા બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો છે. કેમ્પના અંતે દરરોજ બાળકોને એનર્જી ડ્રિંક આપવામાં આવતાં બાળકોમાં વિશેષ ખુશી જોવા મળી રહી છે.




