MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે નવીન ગ્રામ પંચાયત મકાનનું ખાતમુહૂર્ત સંપન્ન

વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે નવીન ગ્રામ પંચાયત મકાનનું ખાતમુહૂર્ત સંપન્ન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામ ખાતે નવીન ગ્રામ પંચાયત મકાનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા તથા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
પિલવાઈ ગ્રામ પંચાયતની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ગામના મધ્યમાં આવેલા જૂના ચોરામાં સ્થિત પંચાયત મકાનમાંથી ચાલી રહી હતી. સમય જતાં આ મકાન જર્જરિત બનતા ગામની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા પંચાયત મકાનની માંગ ઉઠી હતી. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ પિલવાઈ ગામની વસ્તી 8,910 નોંધાઈ હતી, જે હાલમાં વધતી જતાં ગ્રામજનોને વધુ સુવિધાસભર અને આધુનિક પંચાયત મકાનની જરૂરિયાત ઉભી થઈ હતી. સરકાર દ્વારા નવીન પંચાયત મકાન માટે સિદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ આજે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી ગોવાભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશભાઈ પટેલ, ન્યાય સમિતિના ચેરમેન મીનાબેન પરમાર, પૂર્વ જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ, તાલુકા સદસ્ય વિષ્ણુજી, ગામના સરપંચ મહેન્દ્રસિંહ સહિત આજુબાજુના ગામોના સરપંચો, પંચાયતના સદસ્યો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવીન પંચાયત મકાનના નિર્માણથી ગ્રામજનોને વધુ સારી વહીવટી સેવાઓ ઉપલબ્ધ બનશે તેમજ પંચાયતની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!