MORBI:મોરબી ઉમરાહની ધાર્મિક યાત્રાના નામે ૩૪ શ્રદ્ધાળુઓ સાથે રૂ. ૧૪.૮૯ લાખની છેતરપિંડી




MORBI:મોરબી ઉમરાહની ધાર્મિક યાત્રાના નામે ૩૪ શ્રદ્ધાળુઓ સાથે રૂ. ૧૪.૮૯ લાખની છેતરપિંડી

મોરબી: ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવી લેવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદના એક શખ્સે ૩૪ લોકોના વિઝા અને એર ટિકિટના નામે કુલ રૂ. ૧૪.૮૯ લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મોરબીના વાવડી રોડ પર રહેતા સર્ફરાજ આલારાખાભાઈ દલવાણીએ અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહેવાસી મહંમદ જુનેદ મહંમદ યુસુફ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વર્ષ ૨૦૨૨માં અમદાવાદ એરપોર્ટ પર ફરિયાદીનો સંપર્ક કરી વિઝા અપાવવાના બહાને વિશ્વાસમાં લીધા હતા. વર્ષ ૨૦૨૫માં ૩૪ લોકોના વિઝા કરાવવા માટે ફરિયાદી પાસેથી રૂ. ૪,૬૫,૦૦૦ પડાવ્યા હતા. પરંતુ સમયસર વિઝા ન કરાવી આપી છેતરપિંડી કરી હતી.વિઝા ન મળવાને કારણે ફરિયાદીને એર ટિકિટ પેટે વધુ રૂ. ૧૦,૨૪,૮૦૦નું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આરોપીએ ફરિયાદીના મોબાઈલ પર ખોટા અને બનાવટી વિઝાની પી.ડી.એફ. ફાઈલ મોકલી શ્રદ્ધાળુઓને ગેરમાર્ગે દોર્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જ્યારે ફરિયાદી અને તેમના સાથીઓ ઉમરાહ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ પર પરત આવ્યા, ત્યારે આરોપીએ ફોન કરીને ધમકી આપી હતી કે, “જો દોઢ લાખ રૂપિયા નહીં આપો તો એરપોર્ટની બહાર નીકળવા નહીં દઉં.”મોરબી પોલીસે આ મામલે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધાકધમકીની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી મહંમદ જુનેદ શેખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




