JODIYA:જોડિયા ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ નિમિત્તે ભવ્ય જાગૃતિ રેલી યોજાઈ: વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો




JODIYA:જોડિયા ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ નિમિત્તે ભવ્ય જાગૃતિ રેલી યોજાઈ: વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

આજરોજ તાલુકા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ જોડિયાના સંયુક્ત ઉપક્રમે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય જાગૃતિ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં જોડિયાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સ્થાનિક ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓએ મોટી સંખ્યામાં અને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવતા વિવિધ આકર્ષક બેનરો, પોસ્ટરો અને સંદેશાઓ સાથે રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન અંગેના સૂત્રોચ્ચાર કરી સમગ્ર પંથકમાં જાગૃતિ ફેલાવી હતી. તમામ વિદ્યાર્થીઓએ અત્યંત શિસ્તબદ્ધ રીતે ભાગ લઈ પ્રાચીન ભાષા પ્રત્યે પોતાનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્કૃત ભાષાને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મૂળભૂત અંગ ગણાવી હતી. નવી પેઢી આ પવિત્ર ભાષા સાથે જોડાય અને તેના જ્ઞાનનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તે માટે ઉપસ્થિત સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગરથી ખાસ ઉપસ્થિત રહેલા અધિકારીશ્રી હદવાની સાહેબે ભારે જહેમત ઉઠાવી ઉત્કૃષ્ટ આયોજન પૂરું પાડ્યું હતું.



