SOMNATH:સોમનાથ મંદિરના ‘સ્વાભિમાન પર્વ’ નિમિત્તે ભારત સરકાર 75 નો સ્મારક સિક્કો બહાર પાડશે





SOMNATH:સોમનાથ મંદિરના ‘સ્વાભિમાન પર્વ’ નિમિત્તે ભારત સરકાર 75 નો સ્મારક સિક્કો બહાર પાડશે

મોરબી: ભારતની આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ઇતિહાસને ચિરંજીવી બનાવવા માટે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી ન્યૂમિસમેટીક ક્લબના સંસ્થાપક અને યુવા એડવોકેટ શ્રી મિતેશભાઇ દવે ના જણાવ્યા અનુસાર, નાણાં મંત્રાલયે સોમનાથ મંદિરના “સ્વાભિમાન પર્વ” ની સ્મૃતિમાં ₹75 નો વિશેષ સ્મારક સિક્કો જારી કરવાની જાહેરાત કરી છે.

આ સ્મારક સિક્કો બે અત્યંત મહત્વની ઐતિહાસિક ઘટનાઓની યાદમાં બહાર પાડવામાં આવી રહ્યો છે:
1,000 વર્ષ: ઈ.સ. 1026 માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થયા છે.
75 વર્ષ: સ્વતંત્ર ભારતમાં વર્ષ 1951 માં મંદિરના ભવ્ય પુનઃનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થયા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મતે, આ ‘સ્વાભિમાન પર્વ’ એ વિનાશની યાદ નહીં, પરંતુ ભારતીય સભ્યતાની સ્થિતિસ્થાપકતા અને અતૂટ શ્રદ્ધાનો ઉત્સવ છે.
સિક્કાની ટેકનિકલ વિશેષતાઓ નવા જારી થનાર આ સિક્કાની ખાસિયતો સંગ્રહકર્તાઓ અને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે:મૂલ્ય ₹75 (સિત્તેર) ધાતુ 99.9% શુદ્ધ ચાંદી વજન 40 ગ્રામ ,વ્યાસ 44 મિમી ડિઝાઇન અગ્રભાગમાં અશોક સ્તંભ અને પશ્ચભાગમાં સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ.
સિક્કાના અગ્રભાગમાં અશોક સ્તંભનું સિંહ શીર્ષ અને તેની નીચે ‘સત્યમેવ જયતે’ કોતરાયેલું હશે, જ્યારે બંને બાજુ ભારત અને INDIA લખેલું હશે. સિક્કાની પાછળના ભાગમાં સોમનાથ મંદિરનું સુંદર ચિત્ર અને “સોમનાથ સ્વાભિમાન પર્વ” નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખાસ નોંધ: એડવોકેટ મિતેશભાઇ દવેએ સ્પષ્ટતા કરી છે કે આ સ્મારક સિક્કા કાયદેસરનું ચલણ હોવા છતાં, તેનો ઉપયોગ સામાન્ય નાણાકીય વ્યવહારો માટે થતો નથી. તે ખાસ કરીને સંગ્રહકર્તાઓ અને રાષ્ટ્રીય યાદગાર પ્રસંગો માટે બનાવવામાં આવે છે.
આ જાહેરાતથી સોમનાથ દાદાના કરોડો ભક્તો અને સિક્કા સંગ્રહના શોખીનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રીના હસ્તે આ સિક્કો વિધિવત રીતે જારી કરવામાં આવશે.



