WAKANER:હિંદુ-મુસ્લિમ એકતાનું અનોખું પ્રતિક: વાંકાનેરના તાજીયા નંબર-10માં ઇમામ હુસૈનના રોજાની ભવ્ય તૈયારીઓ




WAKANER:હિંદુ-મુસ્લિમ એકતાનું અનોખું પ્રતિક: વાંકાનેરના તાજીયા નંબર-10માં ઇમામ હુસૈનના રોજાની ભવ્ય તૈયારીઓ

“‘ત્રણ મહિનાથી ચાલી રહી છે કલાત્મક સર્જનયાત્રા, યુવા ટીમ રાત-દિવસ મહેનત કરી રહી છે”‘

વાંકાનેરના કુંભારપરા કસ્બા કબ્રસ્તાન ખાતે હિંદુ-મુસ્લિમ એકતા તાજીયા કમિટી દ્વારા તાજીયા નંબર-10 અંતર્ગત ઇમામ હુસૈનના રોજા મુબારકનું નિર્માણ કાર્ય છેલ્લા ત્રણ મહિનાથી પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહોરમ પર્વને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તાજીયા નંબર-10ના સંચાલક નુરસા ઈબ્રાહીમશા કાદરીએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા તેમના બાપદાદાઓ પરંપરાગત જુનવાણી ઢાંચામાં આબેહૂબ તાજીયા, રોજા, ડોલા અને તાબુત બનાવતા હતા. તે સમયે કાગળ, વાંસની સળીઓ, લાકડું, પતરા, પૂંઠા અને અન્ય દેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમણે જણાવ્યું કે આધુનિક યુગમાં તૈયાર મટીરિયલ સરળતાથી ઉપલબ્ધ થતાં તાજીયા બનાવવાની પ્રક્રિયામાં ઘણો ફેરફાર આવ્યો છે. હવે થર્મોકોલ, ફાઇબર, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક, રંગબેરંગી કાગળ, લાઇટ ડેકોરેશન અને વિવિધ ડિઝાઇન મટીરિયલનો ઉપયોગ કરીને ઓછા સમયમાં આકર્ષક અને કલાત્મક તાજીયા તૈયાર કરવામાં આવે છે.
નુરસા ઈબ્રાહીમશા કાદરીના જણાવ્યા મુજબ, અગાઉ તાજીયાના નકશા, કોતરકામ અને કલાત્મક ડિઝાઇન તૈયાર કરવામાં છ મહિનાથી લઈને એક વર્ષ જેટલો સમય લાગતો હતો, જ્યારે હાલ બકરી ઈદના ત્રીજા દિવસથી તૈયારી શરૂ કરી મહોરમના ચાંદ સાથે સતત સાતથી આઠ દિવસ સુધી અંતિમ કામગીરી કરીને તાજીયાને પૂર્ણ કરવામાં આવે છે.તાજીયા કમિટીના સંચાલક નુરાભાઈ પાકીજાવાળાએ જણાવ્યું હતું કે તાજીયા નંબર-10 દ્વારા દર વર્ષે ઇમામ હુસૈનના રોજાનું નિર્માણ કરવામાં આવે છે, જ્યારે અન્ય તાજીયાઓમાં મસ્જિદ, દરગાહ અને અન્ય ધાર્મિક પ્રતિકૃતિઓ બનાવવામાં આવે છે.

છેલ્લા 15 વર્ષથી નુરસા ઈબ્રાહીમશા કાદરી અને તેમની યુવા ટીમ તાજીયા નંબર-10ને અનોખી કલાત્મક ઓળખ આપી રહી છે. ટીમના સભ્યોમાં ઇર્શાદભાઈ, મદનીભાઈ, દાઉદ કાદરી, સાહિલ પઠાણ, નાઝીમ કાદરી, મકબુલ મેમણ અને નસીબ ચશ્મા ઘરવાળા સહિતના યુવાનો મહોરમના પ્રથમ ચાંદથી જ રાત-દિવસ મહેનત કરીને તાજીયાને રંગરોગાન, ડિઝાઇન, ફિનિશિંગ અને આકર્ષક લાઇટ ડેકોરેશનથી સજાવી રહ્યા છે.
હિંદુ-મુસ્લિમ એકતા તાજીયા કમિટી દ્વારા તૈયાર થતો તાજીયા નંબર-10 માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સામાજિક સૌહાર્દ, ભાઈચારા અને કોમી એકતાનું જીવંત પ્રતિક બની રહ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ કલાત્મક સર્જનને નિહાળવા ઉમટી પડે છે.



