Navsari: બદલતા જતા આબોહવાની આંબા પાક પર થતી અસર વિષય પર ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી:તા.૨૧ એપ્રિલ–રીલાયન્સ ફાઉન્ડેશન, નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના સંયુક્ત પ્રયાસથી બદલાતા જતા આબોહવાની આંબા પાક પર અસર વિષય પર યુ ટયુબ લાઈવ માધયમથી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થાય તે વિશેની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કેવિકેના વડા ડૉ.કે.એ.શાહે ગત પાંચ વર્ષોથી આબોહવાકીય પરિસ્થિતિમાં સતત બદલાવ જેવા કે માવઠું થવું, અચાનક દિવસનું તાપમાન વધી જવું વગેરે પરિસ્થિતિથી આંબા પાકોમાં ફૂલ આવવાની પ્રક્રિયા અને ફળ બેસાણ વગેરે પર માઠી અસર થાય છે તેમ જણાવ્યું હતું.
બાગાયત ફાર્મ, બાગાયત કોલેજ, નવસારીના સંશોધન વૈજ્ઞાનિક ડાં.ભૂપેન્દ્રભાઈ ટંડેલે સતત બદલાતા જતાં હવામાનની પરિરિસ્થતિમાં આંબા પાકમાં ફૂલ મંજરી સમયસર લાવવા તથા ટકાવી રાખવા અને કેરીનું ખરલ અટકાવવા ખેડૂતોએ લેવી પડતી કાળજીઓ વિશે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી હતી. વધુમાં તેઓએ નવી આંબાવાડી બનાવવા માટે ફકત એક જ જાતનું વાવેતર ન કરતાં ૧૫ થી ૨૦ ટકા કેરીની અન્ય જાતોને વાવેતરમાં સમાવવા સલાહ આપી હતી.
આ પ્રસંગે કેવિકેના ગૃહવિજ્ઞાનના નિષ્ણાંત શ્રીમતિ નિતલબેન પટેલે કેરીને ફળનો રાજા ગણાવીને પોષકતત્વો અને વિટામિનનો ભરપૂર છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેઓએ કેરીમાંથી મૂલ્યવર્થિત વિવિધ બનાવટો જેવી કે પાણીચા અથાણાં, મુરબ્બો, છૂંદો, આમચુર પાવડર, આમ પન્ના, કેરીના રસની બોટલો, જામ, જેલી અને કેરીની ગોટલીનો મુખવાસ બનાવી વેચાણ કરવાથી વધુ આવક મેળવીને પગભર થવા હાંકલ કરી હતી.
આ કાર્યક્રમમાં યુ ટયુબ લાઈવના માધ્યમથી ૫૦૦ થી વધુ ખેડૂતો ઓનલાઈન જોડાઈને આંબા પાકમાં મૂંઝવતાં પ્રશ્નો અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.